ભારતીય સિનેમાના સૌપ્રથમ શોમૅને ૧૯૪૮માં આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી, જે એક સમયે બૉલીવુડના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો સાક્ષી હતો. ચેમ્બુરનો આ સ્ટુડિયો એક જમાનામાં હિન્દી સિનેજગતની ક્રીએટિવિટી અને ઇનોવેશનનું કેન્દ્ર હતું.
હિન્દી સિનેમાના વારસામાં એક સુવર્ણ પ્રકરણ હતું રાજ કપૂરનું સ્વપ્ન – આરકે સ્ટુડિયો. ૧૯૪૮માં ભારતીય સિનેમાના સૌપ્રથમ શોમૅને આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી જે એક સમયે બૉલીવુડના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો સાક્ષી હતો.
આરકે સ્ટુડિયો દેશમાં અત્યાર સુધી અસ્તિત્વમાં રહેલ સ્ટુડિયો સિસ્ટમથી અલગ માર્ગ પર હતો. અથવા એમ કહેવાય કે સ્ટુડિયો સિસ્ટમના અંત પછી ઉભરી આવેલો તે પહેલો મહત્વપૂર્ણ ફિલ્મ સ્ટુડિયો હતો. પણ વાત આટલી હદ સુધી પહોંચી કેવી રીતે ?
ફિલ્મોમાં પહેલી મોટી ક્રાંતિ હતી બોલતી ફિલ્મોની રજૂઆત. મૂક ફિલ્મોથી બોલતી ફિલ્મો તરફ આગળ વધવાનુ સરળ નહોતું. આ નવી ટેકનોલોજી માટે રુપયા અને અન્ય સંસાધનોની જરૂર હતી, જે નાના નિર્માતાઓ પાસે નહોતી. પરિણામે, નાની ફિલ્મ કંપનીઓ બંધ થઈ ગઈ અને મોટા સ્ટુડિયોનો યુગ શરૂ થયો. વર્ષ ૧૯૩૪ સુધીમાં દેશમાં હોલીવુડ જેવી સંગઠિત, વ્યાવસાયિક ફિલ્મ સ્ટુડિયો સિસ્ટમ સ્થાપિત થઈ ગઈ હતી.

પ્રભાત ફિલ્મ કંપની (પૂના), ન્યુ થિયેટર (કલકત્તા) અને બોમ્બે ટોકીઝ (બોમ્બે) એ સિનેમા પર રાજ કર્યું, આ સ્ટુડિયો એક ફેક્ટરીની જેમ ફિલ્મો બનાવતા હતા જ્યાં કલાકારો અને ટેકનિશિયન પગાર પર કામ કરતા હતા. અશોક કુમાર, દિલીપ કુમાર, મધુબાલા, દુર્ગા ખોટે, કેએલ સાયગલ, વી શાંતારામ અને પીસી બરુઆ જેવા મહાન ખેલાડીઓ આ સિસ્ટમમાંથી બહાર આવ્યા હતા.
તે સમયગાળા દરમિયાન, 15 વર્ષ સુધી આ સ્ટુડિયો જ અસલી સુપરસ્ટાર રહ્યા હતા. પરંતુ એક દિવસ બધાનો સૂર્ય આથમે છે. તેવો જ સમય સ્ટુડિયો સિસ્ટમ માટે ૧૯૪૭માં દેશની આઝાદી સાથે આવ્યો. દેશના ભાગલાની દુર્ઘટનાએ બધું જ હચમચાવી નાખ્યું. જીવન બરબાદ થઈ ગયું, લોકો બેઘર થઈ ગયા, વ્યવસાયો બરબાદ થઈ ગયા અને ફિલ્મ સ્ટુડિયો પર પણ આની અસર થઈ
પહેલાથી જ વિશ્વયુદ્ધ અને ભયંકર દુષ્કાળની અસરો સામે ઝઝૂમી રહેલા સ્ટુડિયો આ વખતે ફરી બેઠા થઈ શક્યા નહી. પરંતુ સ્ટુડિયો સિસ્ટમના પતનનું આ એકમાત્ર કારણ નહોતું. અત્યાર સુધી સ્ટુડિયોમાં પગાર મેળવતા સ્ટાર કલાકારો અને નિર્દેશકોને સમજાઈ ગયુ હતું કે તેઓ પોતે મોટા બ્રાન્ડ બની શકે છે.
ફ્રીલાન્સિંગ મોડેલ અપનાવીને પૃથ્વીરાજ કપૂર સફળતાની સીડી ચઢી ચૂક્યા હતા. તે જ સમયે વી શાંતારામ અને મહેબૂબ ખાને સ્ટુડિયો સિસ્ટમ છોડી પોતાની ફિલ્મ કંપનીઓ શરૂ કરી લીધી હતી.
હવે પવનની દિશા બદલાઈ ગઈ હતી. ફિલ્મ ઉદ્યોગ એવા શ્રીમંત ઉદ્યોગપતિઓથી ભરાઈ ગયો હતો જેઓ ફાઇનાન્સર બન્યા અને આ ફ્રીલાન્સ સ્ટાર્સ, નિર્માતાઓ અને દિગ્દર્શકો પર દાવ લગાવી રહ્યા હતા અને પૈસા કમાઈ રહ્યા હતા.
સ્ટુડિયો માલિકો જે પહેલા પડદા પાછળ બેસીને નિર્ણયો લેતા હતા, તેમના બદલે હવે દિગ્દર્શકો અને સ્ટાર્સ નિર્ણયો લેવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન પ્રભાત અને બોમ્બે ટોકીઝ બંધ થઈ ગયા હતા.
ભારતીય સિનેમાએ ફિલ્મ નિર્માતાઓ અને સ્ટાર પાવરના વ્યક્તિગત દ્રષ્ટિકોણના યુગમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મ નિર્માણના એ જ જુસ્સા સાથે, પૃથ્વીરાજ કપૂરના પુત્ર રાજ કપૂર ફિલ્મોમાં સંઘર્ષ કરી રહ્યા હતા.
કપૂર પરિવારમાં જન્મેલા આ યુવાને(રાજકપુરે) ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ રાજ કપૂર માત્ર અભિનેતા બનવા નહોતા માંગતા, તેમને ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન કરવાનો પણ શોખ હતો.

આરકે સ્ટુડિયોના નિર્માણની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.
રાજ કપૂરે જ્યારે નિર્માતા-દિગ્દર્શક તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘આગ’ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેમની પાસે ફક્ત ૧૩ હજાર રૂપિયા હતા. તેમણે આ યોજના તેમના મામા અને ખૂબ જ નજીકના મિત્ર વિશ્વા મહેરાને જણાવી. આ ફિલ્મમાં મેક-અપ મેન, કલાકારો અને ડાન્સરોની જરૂર હતી જે તે સમયે પૃથ્વી થિયેટરમાં કામ કરતા હતા.
પૃથ્વી થિયેટરના સ્ટાફના સામૂહિક પ્રયાસોએ રાજ કપૂરના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરી. આ ફિલ્મમાં હિરોઈનનાં રોલ માટે રાજ કપૂરે નરગીસની પસંદગી કરી.
વીસ વર્ષની નરગીસ ત્યાં સુધીમાં તો ફિલ્મોમાં હિરોઈ બની ગઈ હતી. તે મહેબૂબ ખાન જેવા જાણીતા દિગ્દર્શકના કેંપનો ભાગ હતી અને એક સ્ટાર હતી. જ્યારે 22 વર્ષના રાજ કપૂરે હજુ સુધી અભિનેતા તરીકે કોઈ ખાસ સફળતા મેળવી ન હતી અને દિગ્દર્શક તરીકે તેમની પહેલી ફિલ્મનું દિગ્દર્શન કરવાના હતા.
ફિલ્મ ‘આગ’ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી. જોકે, તે સમયે, નરગીસની માતા જદ્દનબાઈ આની વિરુદ્ધ હતી અને ઘણીવાર તે શૂટિંગમાં હાજર રહેતી અથવા નરગીસને આઉટડોર શૂટિંગ માટે મોકલવાનો ઇનકાર કરી દેતી હતી.
પ્રખ્યાત દિગ્દર્શક રાહુલ રવૈલ જે લાંબા સમય સુધી રાજ કપૂરના સહાયક અને નજીકના મિત્ર રહ્યા હતા, તેમના પુસ્તક ‘રાજ કપૂર બોલીવુડનાં સૌથી મોટા શોમેન’ માં કહે છે, “તે દિવસોમાં ફિલ્મ નિર્માતા માટે સ્ટુડિયો સાથે સંકળાયેલું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે સ્ટુડિયો એક ઢંકાયેલ સ્થળ હતું જ્યાં સેટ બનાવવામાં આવતો હતો અને સેટની કિંમત પણ ચૂકવવામાં આવતી હતી.

“રાજ કપૂરે ઈસ્ટર્ન સ્ટુડિયોમાં જોડાવવાનું નક્કી કર્યું, જે લાખાણીની માલિકીનું હતું. ‘આગ’નાં નિર્માણનો ખર્ચ 3 લાખ રૂપિયા થયો હતો, જે તે દિવસોમાં ખૂબ મોટી રકમ હતી. રાજ સાહેબને વિશ્વાસ હતો કે તેઓ આ ફિલ્મથી નફો કરશે, કારણ કે ફિલ્મની સ્ટોરી ગંભીર હતી. જો કે આ ફિલ્મને વિવેચકોએ વખાણી હતી, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહીં.”
ફિલ્મ ‘આગ’માં નુકસાન થયુ હોવા છતાં રાજ કપૂરે તેમની આગામી ફિલ્મ ‘બરસાત’ બનાવવાનું નક્કી કર્યું. આ વખતે શૂટિંગ માટે તેમણે દિગ્દર્શક કે આસિફના રૂપતારા સ્ટુડિયોને સાઇન કર્યો. પરંતુ કોઈ પણ ફાઇનાન્સર એવા નિર્માતા-દિગ્દર્શક પર પૈસા રોકવા નહોતા માંગતા, જેમણે ‘આગ’માં પહેલાથા જપોતાના હાથ બાળી નાખ્યા હોય. એવા સમયમાં તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે તેમને મદદ કરી.
રાજ કપૂરે રોમેન્ટિક ફિલ્મ ‘બરસાત’ના પ્રખ્યાત ગીત ‘હવા મેં ઉડતા જાયે’નું શૂટિંગ કાશ્મીરની સુંદર ખીણમાં કરવાનું નક્કી કર્યું, જ્યાં અત્યાર સુધી કોઈ ફિલ્મનું શૂટિંગ થયું ન હતું. એ જમાનો સ્ટુડિયોમાં શૂટિંગનો હતો. પરંતુ બધા કલાકારો-ક્રૂને ને ત્યાં લઈ જવા, ભારે સંસાધનો ત્યાં પહોંચાડવા અને રહેવાની વ્યવસ્થા કરવી તે બધુ ખૂબ મોંઘુ હતુ.
રાજ કપૂર કંઈક નવું પ્રયોગ કરવા માંગતા હતા, તેથી તેઓ પહેલા તેમના કેમેરામેન જાલ મિસ્ત્રી સાથે કાશ્મીર ગયા અને લાઈટ એમમો કેમેરા વડે શોટ્સ લીધા. પછી આ દ્રશ્યોને મહાબળેશ્વરમાં શૂટ કરાયેલા દ્રશ્યો સાથે મિક્સ કરવામાં આવ્યા.
રાહુલ રવૈલ લખે છે, “તેમનું આગળનું પગલુ સાઉન્ડ રેકોર્ડિંગનાં બધા સાધનો રાખવા માટે એક સાઉન્ડ ટ્રેક ખરીદવાનું હતું. ત્રીજું પગલુ એક પ્રોફેશનલ 35mm મિશેલ NC કેમેરા ખરીદવાનું હતું. આ સંપત્તિ ફિલ્મ નિર્માણ પ્રત્યેના તેમના જુસ્સા અને સ્ટુડિયોની માલિકી માટે જરૂરી પ્રારંભિક પ્રયત્નોથી ઉદ્ભવી હતી.”
૧૯૪૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બરસાત’એ સફળતાના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે ઉભરી આવી.
‘બરસાત’ તેમની બીજી ફિલ્મ હતી અને નરગીસ સાથેની તેમની જોડી સુપરહિટ સાબિત થઈ. તે જ વર્ષે મહેબૂબ ખાન દ્વારા દિગ્દર્શિત રાજ કપૂર, નરગીસ અને દિલીપ કુમારની ‘અંદાઝ’ પણ સુપરહિટ સાબિત થઈ. આ નવી સફળતાએ રાજ કપૂરને હિંમત પણ આપી અને પૈસા પણ આપ્યા, કે જેથી તેઓ સ્ટુડિયો બનાવવાના સ્વપ્ન પર કામ કરી શકે.
રાજ કપૂરે નરગીસ અને પૃથ્વીરાજ કપૂર સાથેની તેમની આગામી ફિલ્મ ‘આવારા’ની પણ જાહેરાત કરી. 14 ડિસેમ્બર 1949ના રોજ, રાજ કપૂરના જન્મદિવસ પર, તેમની આગામી ફિલ્મ ‘આવારા’નું નિર્માણ બોમ્બેના દાદરમાં આવેલા તારા સ્ટુડિયોમાં થયું હતું.

‘આવારા’નું નિર્માણ આશા સ્ટુડિયોમાં નક્કી થયું હતું.
રાહુલ રવૈલના જણાવ્યા મુજબ, “રાજ સાહેબે નરગીસજી સાથે એક સીન પ્લાન કર્યો હતો, જેમાં તે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં તળાવની અંદર જશે. જોકે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ સ્ટુડિયોનાં સેટ પર થયુ હતુ, આ ખાસ સીન માટે તેને NSCI ક્લબના સ્વિમિંગ પૂલમાં જવું પડ્યું હતું.”
“નરગીસજી આટલા બધા લોકોની સામે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવામાં ખચકાટ અનુભવતા હતા. નરગીસજીને મનાવવા માટે, તેમણે પરવાનગી વિના સ્ટુડિયોમાં જમીન ખોદી કાઢી અને શૂટિંગ માટે તળાવ બનાવ્યું. આ માટે રાજ સાહેબને સ્ટુડિયો માલિકોએ સખત ઠપકો આપ્યો અને એંસી હજાર રૂપિયાના ભારે દંડની માંગણી કરી.”
રાજ કપૂરે સ્ટુડિયોને દંડ તો ચૂકવી દીધો, પરંતુ આ વાતે તેમના હૃદયને ઠેસ પહોંચાડી હતી.
તેમણે સ્ટુડિયો બોસને કહ્યું કે તેમને પૈસાની પરવા નથી, પરંતુ તેઓ તેમની ફિલ્મોના સર્જનાત્મક નિર્ણયો માટે કોઈની પરવાનગી લેવા નથી માંગતા. તેમણે સ્ટુડિયો માલિકોને કહ્યું, “હું આ સ્ટુડિયોમાં ફરી ક્યારેય શૂટિંગ કરીશ નહીં.” તેમણે ‘આવારા’નું બાકીનું શૂટિંગ શ્રીકાંત સ્ટુડિયોમાં કર્યું, જે બોમ્બેના ચેમ્બુર વિસ્તારમાં હતું.
રાજ કપૂરને એવી જગ્યાની જરૂર હતી જ્યાં તેઓ કોઈની દખલગીરી વિના પોતાના ફિલ્મી સપનાઓને આકાર આપી શકે અને પોતાની વાર્તાઓ કહી શકે.
શ્રીકાંત સ્ટુડિયોની નજીક બે એકર જમીન ખાલી પડી હતી. આ જમીન રાજ કપૂરને તેમના સ્ટુડિયો માટે પસંદ આવી ગઈ હતી.
રાહુલ રવૈલ પોતાના પુસ્તકમાં લખે છે, “તે સમયે તે જમીનની કિંમત 1.5 લાખ રૂપિયા હતી અને તે દિવસોમાં તેમની પાસે એટલા રુપયા નહોતા, છતાં પણ તેઓ પોતાની કલા પ્રત્યે સમર્પિત હતા અને સ્ટુડિયોને તેમની સર્જનાત્મકતાના કુદરતી વિસ્તરણ તરીકે જોતા હતા.”
રાજ કપૂરે અન્ય નિર્માતાઓ સાથે ફિલ્મો સાઇન કરવાની સાથે, પ્રોમિસરી નોટ્સ દ્વારા પૈસા ઉધાર લીધા અને આરકે સ્ટુડિયો બનાવવા માટે જમીન ખરીદી.
આ સ્વપ્નમાં તેમને સાથ આપનાર નરગીસ હવે તેમના જીવન અને તેમની ફિલ્મોનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ હતી.

લેખિકા મધુ જૈને તેમના પુસ્તક ‘ધ કપૂર્સ’ માં લખ્યું છે કે, “જ્યારે ફિલ્મ ‘બરસાત’ બની રહી હતી, ત્યારે નરગિસ સંપૂર્ણપણે રાજ કપૂર પ્રત્યે સમર્પિત હતી. ત્યાં સુધી કે જ્યારે સ્ટુડિયોમાં પૈસાની તંગીહતી, ત્યારે નરગિસે પોતાની સોનાની બંગડીઓ વેચી દીધી હતી. આરકે ફિલ્મ્સની ખાલી તિજોરી ભરવા માટે તેણે અન્ય નિર્માતાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.”
રાજ કપૂરના જીવનચરિત્ર ‘રાજ કપૂર ધ ફેબ્યુલસ શોમેન’ માં લેખક બન્ની રૂબેન લખે છે, “સપ્ટેમ્બર 1950માં રાજ કપૂરે તેમના વફાદાર ટેકનિશિયન, મિત્રો અને નજીકના લોકો સાથે ચેમ્બુરની ધરતી પર આરકે સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું અને પછી ધીમે ધીમે આ સ્ટુડિયો ઊભો થવા લાગ્યો.”
પરંતુ, જ્યારે બધા પૈસા અને સમય સ્ટુડિયોમાં ખર્ચ થવા લાગ્યા, ત્યારે તેની અસર રાજ કપૂરના પરિવાર પર થવા લાગી.
રાહુલ રવૈલના મતે, કૃષ્ણા આંટી (રાજ કપૂરની પત્ની) ભાડાના ઘરની જગ્યાએ પોતાનું ઘર ઇચ્છતી હતી, પરંતુ રાજ કપૂર પહેલા એક સ્ટુડિયો બનાવવા માંગતા હતા અને તેમાંથી પૈસા કમાઈને પોતાનું ઘર ખરીદવા માંગતા હતા.
‘આવારા’નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું હતું અને રાજ કપૂર તેમના સ્ટુડિયોમાં એક ભવ્ય ડ્રીમ સિક્વન્સ ફિલ્મા કરવા માંગતા હતા, જેની તે સમયમાં કોઈ છત ન હતી. એટલે કે દિવસના પ્રકાશથી બચવા માટે માત્ર રાત્રે જ શૂટિંગ કરી શકાય છે.
શૂટિંગનો સમય આવ્યો ત્યાં સુધીમાં આરકે સ્ટુડિયોની દિવાલો લગભગ આઠ ફૂટ ઊંચી થઈ ગઈ હતી.
‘રાજ કપૂર ધ ફેબ્યુલસ શોમેન’ માં રાજ કપૂરના નજીકના મિત્ર અને મામા વિશ્વા મેહરા કહે છે, “દિવાલો તો ઉભી થઈ ગઈ હતી પણ છત નહોતી. રાજે કહ્યું – તેનાથી શું કોઈ ફરક પડે છે? કોઈ વાંધો નહી. અમે આ ડ્રીમ સિક્વન્સ અમારા પોતાના સ્ટુડિયોમાં શૂટ કરીશું. અને અમે તે જ કર્યું.”
‘આવારા’ પણ ખૂબ જ હિટ રહી અને તેણે એટલી કમાણી કરી કે આરકે સ્ટુડિયો ફિલ્મોનાં શૂટિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો. બાદમાં અહીં એક એડિટિંગ રૂમ અને પ્રિવ્યૂ થિયેટર પણ બનાવવામાં આવ્યું હતું, જે છત પર હતું.
સ્ટુડિયોની અંદર રાજ કપૂરનું પ્રખ્યાત કોટેજ પણ હતું, જેને તેઓ પોતાની કલાનું મંદિર માનતા હતા.
ચેમ્બુરમાં ફેલાયેલો આ બે એકરનો આર.કે.સ્ટુડિયો હિન્દી સિનેમાનું જીવંત સ્મારક હતું. અહીં હિટ ગીતો રચાયા, યાદગાર વાર્તાઓ રચાઈ અને ઘણી ક્લાસિક હિન્દી ફિલ્મોનું નિર્માણ થયું. શંકર-જયકિશનથી લઈને શૈલેન્દ્ર સુધી અને બોબીના ઋષિ-ડિમ્પલથી લઈને રામ તેરી ગંગા મૈલીના મંદાકિની સુધી, ઘણા કલાકારોએ આરકે સ્ટુડિયો માટે પોતાનું શ્રેષ્ઠ કામ કર્યું.
સ્ટૂડિયોનું નામ ભલે રાજ કપૂરના નામ પરથી રાખવામાં આવ્યું હોય, પણ તેને બનાવવામાં નરગીસના યોગદાનને કપૂર પરિવાર નકારતો નથી.
મધુ જૈન તેમના પુસ્તક ‘ધ કપૂર્સ’ માં લખે છે, “આરકે ખરેખર નરગીસ-રાજ કપૂરનું બેનર હતું. તે એક ભાગીદાર હતી જેણે તેમના મોટાભાગના સુવર્ણ વર્ષોમાં તેમની સાથે આરકે ફિલ્મ્સની લગામ સંભાળી હતી.”
“તે બંનેએ સાથે મળીને 16 ફિલ્મો બનાવી. તેમની ભાગીદારી ૧૯૪૮માં ફિલ્મ ‘આગ’થી શરૂ થઈ હતી અને ૧૯૫૬માં ‘જાગતે રહો’ સાથે સમાપ્ત થઈ.”
આરકે સ્ટુડિયોના મુખ્ય દરવાજા પરનો લોગો તેની ઓળખ હતો. એક સુંદર ઇમેજ જે રાજ કપૂરની રોમેન્ટિક અને મ્યુઝિકલ સિનેમાનું પ્રતીક બની ગઈ હતી.

આ ડિઝાઇન ફિલ્મ ‘બરસાત’ના એક પ્રખ્યાત સિન પરથી લેવામાં આવી છે, જેમાં રાજ કપૂર હાથમાં વાયોલિન લઈને ઉભા છે અને નરગીસ તેમના હાથમાં ઝૂકી રહી છે. આ પ્રતિષ્ઠિત લોગો પ્રખ્યાત ડિઝાઇનર એમઆર આચરેકરે બનાવ્યો હતો અને બાળાસાહેબ ઠાકરે દ્વારા દોરવામાં આવ્યો હતો, જે પાછળથી શિવસેનાના સ્થાપક બન્યા. લોગો નીચે ભગવાન શિવની એક મોટી પ્રતિમા હતી. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર દરેક નવી ફિલ્મના મુહૂર્ત પર ભગવાન શિવની પૂજા કરતા હતા.
આરકે સ્ટુડિયોમાં રાજ કપૂરના કોટેજની પાછળ નરગીસનો પણ એક રૂમ હતો, જે જેમનો તેમ રહ્યો. નરગિસનો સામાન પણ એ જ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જે સ્થિતિમાં તે છોડીને ગઈ હતી.
નરગિસથી અલગ થયાના લગભગ વીસ વર્ષ પછી, ૧૯૭૪માં રાજ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે નરગિસે અલગ થવાનો નિર્ણય લીધો, ત્યાર પછી તે ફરી ક્યારેય આરકે સ્ટુડિયોમાં પાછી ફરી નહીં.
પ્રભાત અને બોમ્બે ટોકીઝ જેવા જૂના સ્ટુડિયો મોટા સંગઠનોની જેમ ચલાવવામાં આવતા હતા. ત્યાં અભિનેતાઓ, દિગ્દર્શકો અને ટેકનિશિયન બધા પગાર પર કામ કરતા હતા. ફિલ્મ નિર્માણની સમગ્ર વ્યવસ્થા લેખન, શૂટિંગ, સંપાદન અને વિતરણ બધું સ્ટુડિયોની અંદર થતુ હતું. તે એક ફેક્ટરી જેવું હતું જ્યાં એક પછી એક ફિલ્મો બનતી રહેતી હતી. અહીં, એક વ્યક્તિના સર્જનાત્મક વિચાર કરતાં એક સંગઠિત પ્રણાલી વધુ કામ કરતી હતી.
જ્યારે, આરકે સ્ટુડિયો એક પારિવારિક સ્ટુડિયો હતો, જે સંપૂર્ણપણે રાજ કપૂરના સપના પર આધારિત હતો, જ્યાં તેમના વિચાર સર્વોપરી હતા. અહીં દરેક ફિલ્મ એક સ્વપ્નની જેમ બનાવવામાં આવતી હતી. ફિલ્મ માટે પહેલા પૈસા એકઠા કરવામાં આવતા હતા, અને પછી કલાકારો અને ટેકનિશિયનોને કામ પર રાખવામાં આવતા હતા.
પછીથી, તેને અન્ય ફિલ્મોના શૂટિંગ માટે પણ ભાડે આપવાનું શરૂ થયું. સ્ટુડિયો સિસ્ટમના અંત પછી, આ મોડેલ ભારતમાં કોઈને કોઈ સ્વરૂપમાં ચાલુ રહ્યું.
‘આવારા’ પછીની રાજ કપૂરની બધી યાદગાર ફિલ્મો શ્રી 420, સંગમ, મેરા નામ જોકર, સત્યમ શિવમ સુંદરમ, બોબી અને રામ તેરી ગંગા મૈલી ના ભવ્ય સેટ આ જ સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, અન્ય પ્રખ્યાત દિગ્દર્શકોએ પણ આ સ્ટુડિયોમાં તેમની ઘણી પ્રખ્યાત ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ નિર્માતા મનમોહન દેસાઈનો આ પ્રિય સ્ટુડિયો હતો.

આરકે સ્ટુડિયો ફક્ત તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની ભવ્ય હોળી પાર્ટીઓ માટે પણ પ્રખ્યાત હતો.
૧૯૮૮માં રાજ કપૂરના અવસાન પછી સ્ટુડિયોની પ્રવૃત્તિ ધીમે ધીમે ઓછી થઈ ગઈ.
૧૯૭૦ના દાયકામાં, કપૂરના મોટા પુત્ર રણધીર કપૂર તેમના પિતા સાથે સ્ટુડિયોમાં જોડાયા, અને ૧૯૭૧માં કલ આજ ઔર કલ ફિલ્મથી અભિનય અને દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું, જેમાં તેમની બબીતા, પિતા રાજ અને દાદા પૃથ્વીરાજ કપૂર પણ હતા. તેણે કંપની સાથે વધુ બે ફિલ્મો ધરમ કરમ (1975) અને રાજ દ્વારા છોડી દેવાયેલી એક અધૂરી ફિલ્મ, જે તેણે 1988માં તેના પિતાના અવસાન પછી પૂર્ણ કરી તે હીના (1991)નું દિગ્દર્શન કર્યું. ૧૯૮૮માં રાજનું અવસાન થયું ત્યાર બાદ રણધીરે સ્ટુડિયો સંભાળ્યો. તેમના નાના ભાઈ રાજીવ કપૂરે ૧૯૯૬માં પ્રેમ ગ્રંથનું દિગ્દર્શન કર્યું અને ઋષિ કપૂરે “આ અબ લૌટ ચલેં” (૧૯૯૯)નું દિગ્દર્શન કર્યું. ત્યાર પછી કપૂર પરિવારે આર.કે. ફિલ્મ્સ બેનર હેઠળ કોઈ બીજી ફિલ્મો બનાવી નથી.

૧૯૯૦ના દાયકામાં અહીં ફિલ્મોનું શૂટિંગ ઓછું થવા લાગ્યું અને ટીવી સિરિયલો તેમજ જાહેરાતોના શૂટિંગ માટે તેનો વધુ ઉપયોગ થવા લાગ્યો.
તેનું કારણ એ હતું કે મુંબઈમાં ઘણા આધુનિક સ્ટુડિયો અને શૂટિંગ ફ્લોર હતા, જે શહેરથી બહુ દૂર નહોતા. આરકે સ્ટૂડિયો શહેરથી દૂર હતો, તેથી ધીમે ધીમે કામ ઓછું થવા લાગ્યું. તેમજ આટલા મોટા સ્ટુડિયોની જાળવણીનો ખર્ચ અને જવાબદારી પણ ખૂબ વધારે હતી.
16 સપ્ટેમ્બર 2017માં સ્ટુડિયોમાં આગ લાગવાને કારણે તેના વારસાને ખૂબ જ નુકસાન થયું હતું. એક ટેલિવિઝન રિયાલિટી શોના શૂટિંગ દરમિયાન, સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી અને સ્ટુડિયો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો. સ્ટેજ, સંસાધનો અને પ્રખ્યાત કોસ્ચ્યુમ વિભાગ પણ બળી ગયો જેમાં બધી ક્લાસિક ફિલ્મોના કોસ્ચ્યુમ અને અન્ય કિંમતી વારસો રાખવામાં આવ્યો હતો. તે સમયના અન્ય બોલિવૂડ સ્ટુડિયોથી વિપરીત, આરકે ફિલ્મ્સ તેની ફિલ્મોમાં વપરાતા બધા કોસ્ચ્યુમ સાચવવામાં સક્ષમ હતું.

સ્ટૂડિયોમાં એક કામચલાઉ સંગ્રહાલય હતું (જે એક સમયે નરગીસનો ડ્રેસિંગ અને મેકઅપ રૂમ હતો) જેમાં એક ખજાનો હતો જે આગમાં નાશ પામ્યો હતો. તેમાં બરસાત (1949), આવારા (1951), આગ (1948), મેરા નામ જોકર (1970) અને બોબી (1973) ના પોસ્ટરોનો સમાવેશ થાય છે. તેમાં શ્રી 420 (1955) ના ગીત “પ્યાર હુઆ ઇકરાર હુઆ” માં સ્ટુડિયો વરસાદથી યુગલનું રક્ષણ કરતી મોટી કાળી છત્રી, આવારા ફિલ્મમાં નરગીસનો લાંબો કાળો ડ્રેસ, સંગમ ફિલ્મમાં વૈજંતિમાલાની સાડીઓ, બોબી ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાનો ફંકી ફંકી ફ્રોક, જિસ દેશ મેં ગંગા બહતી હૈ માં પદ્મિનીની સાડીઓ, મેરા નામ રાજુ (જીસ દેશ મેં ગંગા બહતી હૈ) માં વપરાયેલી ડફલી અને રાજ કપૂર દ્વારા તેમની ફિલ્મોમાં પહેરવામાં આવતી કેટલીક ટોપીઓ પણ શામેલ હતી. આ બધા આગમાં નાશ પામ્યા હતા. ઋષિ કપૂરે આને આગને કારણે સૌથી મોટું નુકસાન માન્યું.
વર્ષ 2018 માં કપૂર પરિવારે તેને વેચવાનો નિર્ણય લીધો અને વર્ષ 2019 માં ગોદરેજ પ્રોપર્ટીઝે તેને ખરીદી લીધું.
આરકે સ્ટુડિયો હવે નથી રહ્યો, પરંતુ ભારતીય સિનેમામાં તેની ઓળખ હંમેશા રહેશે.
રાજ કપૂરના મોટા દીકરા રણધીર કપૂરે એક વાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે “જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમને તેમના સ્ટુડિયોમાં લઈ જજો, શક્ય છે કે તે પ્રકાશના તેજમાં તે ફરીથી ઉઠી જાય અને બૂમ પાડે કે – એક્શન, એક્શન“.