ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાતઃ શુભમન ગિલ કેપ્ટન અને રિષભ પંત વાઇસ કેપ્ટન

teamIndia-TestSeries

ભારતીય ટીમ જૂનમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

ઈંગ્લેન્ડના પ્રવાસ માટે આજે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરાઈ છે. ભારત ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે જેની શરૂઆત 20 જૂનથી થવાની છે. બીસીસીઆઈ તરફથી ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ સાથે નવા કેપ્ટનનું નામ પણ જાહેર કરાયું છે.

BCCIના હેડક્વાટર મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યની ભારતીય ટીમ જાહેર કરાઈ છે. જેમાં શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે. જ્યારે રિષભ પંતને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

ભારતનાં બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં જ નિવૃત્તિ લીધી છે. બંનેની નિવૃત્તિ બાદ પહેલીવાર કોઈ નવી ટીમની જાહેરાત કરાઈ છે. ટીમમાં સાઈ સુદર્શન અને કરુણ નાયરને સ્થાન મળ્યું છે તેમજ શાર્દૂલ ઠાકુરની પણ ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત ટીમમાં કેએલ રાહુલ પણ સમાવેશ કરાયો છે. નવી ટેસ્ટ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન અપાયું છે. જ્યારે મોહમ્મદ શમીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. તે લગભગ બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો નથી કારણ કે ઈજાઓનો સામનો કરી રહ્યો છે.

ટેસ્ટમાં કેપ્ટનશીપ કરનાર પાંચમો સૌથી યુવા ક્રિકેટર બન્યો શુભમન ગિલ
શુભમન ગિલ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરનાર પાંચમો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. તે 25 વર્ષ અને 258 દિવસની ઉંમરે ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. તેની પહેલાં મન્સૂર અલી ખાન પટૌડી (21 વર્ષ, 77 દિવસ), સચિન તેંડુલકર (23 વર્ષ, 169 દિવસ), કપિલ દેવ (24 વર્ષ, 48 દિવસ) અને રવિ શાસ્ત્રી (25 વર્ષ, 229 દિવસ) છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સંપૂર્ણ ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

સાઈ સુદર્શનનું શાનદાર પ્રદર્શન
23 વર્ષીય સાઈ સુદર્શન IPL-18નો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે અત્યારસુધી 638 રન બનાવી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી મેચ માટે તેને પહેલેથી જ ઈન્ડિયા-A ટીમમાં સામેલ કર્યો છે.

કરુણે વિદર્ભને રણજી ચેમ્પિયન બનાવ્યું
કરુણ નાયરે ગયા સિઝનમાં 9 રણજી ટ્રોફી મેચમાં 4 સદી સાથે 863 રન અને વિજય હજારે ટ્રોફીની 8 ઇનિંગ્સમાં 5 સદી સાથે 779 રન બનાવ્યા હતા. વિદર્ભના આ બેટરે રાજ્યની ટીમને રણજી ટ્રોફીમાં વિજય અપાવ્યો અને વિજય હજારે ટ્રોફીમાં બીજું સ્થાન અપાવ્યું. તેને પહેલેથી જ ઈન્ડિયા-A ટીમમાં સામેલ કર્યો છે, જે થોડા દિવસોમાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે.

શાર્દૂલનું ટીમમાં નામ
ટીમમાં શાર્દૂલ ઠાકુરને પણ સામેલ કર્યો છે. જ્યારે દેવદત્ત પડિકલ, જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમનો ભાગ હતો, તે હજુ ફિટ થયો નથી. મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ અને અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું છે. સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરનાં નામ છે. BGTમાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડી પણ ટીમમાં સામેલ છે. આ ઉપરાંત બે વિકેટકીપર રિષભ પંત અને ધ્રુવ જુરેલ છે.

ભારતીય ટીમ જૂનમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી 20 જૂનથી શરૂ થશે.

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ…
પ્રથમ ટેસ્ટ 20 થી 24 જૂન હેડિંગ્લે
બીજી ટેસ્ટ 2 થી 6 જુલાઈ એજબેસ્ટન
ત્રીજી ટેસ્ટ 10 થી 14 જુલાઈ લોર્ડ્સ
ચોથી ટેસ્ટ 23 થી 23 જુલાઈ ઓલ્ડટ્રેફર્ડ
પાંચમી ટેસ્ટ 31 જુલાઈ થી 4 ઓગસ્ટ ઓવલ.