ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક, પાકિસ્તાનની ઘણી બધી યુટ્યુબ ચેનલો પર લગાવ્યો પ્રતિબંધ

youtubeBanned

ભારત સરકારે પાસિક્તાનની કેટલીક યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલો ‘ખોટી અને ભ્રામક વાર્તાઓ’ ફેલાવીને દેશમાં અશાંતિ ભડકાવવાનો પ્રયાસ કરી રહી હતી.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કઠોર કાર્યવાહી કરતા સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી હતી. અટારી બોર્ડરને તાત્કાલિક બંધ કરવાનો તેમજ પાકિસ્તાનીઓનાં વિઝા રદ્દ કરી ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને પરત મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હવે ભારેત પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યુ છે.

ભારત સરકારે ભડકાઉ અને સંવેદનશીલ સાંપ્રદાયિક સામગ્રી ફેલાવવા બદલ કડક કાર્યવાહી કરતા અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ બીજી ઘણી પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડૉન ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ, સમા ટીવી, જિયો ન્યૂઝ સહીત કુલ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શા માટે કાર્યવાહી કરવામાં આવી?
પાકિસ્તાન વિરુદ્ધ આ કડક કાર્યવાહી ગૃહ મંત્રાલયની ભલામણોના આધારે કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ભારત તેની સેના અને સશસ્ત્ર દળો તેમજ સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સંવેદનશીલ સામગ્રી, ખોટા-ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી ફેલાવી રહી હતી. જે ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનની આ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
યુટ્યુબ ચેનલો જે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમાં ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂક જેવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવતી યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ ચેનલોમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રઝા નામાનો પણ સમાવેશ થાય છે અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી હતી કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે.