અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં પાંચમાં માળ પર આગ લાગી હતી. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની 7 ગાડી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. આગ લાગતાં ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ એટલી ભયંકર હતી કે કમ્પાઉન્ડ એરિયામાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. આગની ઘટનામાં રહેવાસીઓમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.
આ અંગે ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો.
આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા જ કેટલાંક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. જો કે આ બચાવ કામગીરી ખરેખર ભયજનક હતી. એક યુવતીને બચાવવા સમયે તે નીચે પડતાં માંડ માંડ બચી હતી. જ્યારે અન્ય બે બાળકોનું સફળ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.આગની ઘટનાને કારણે મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા લોકો ધુમાડાની ગૂંગળામણને કારણે બહાર નીકળવા પ્રયાસ કરતા હતા. જેમાં સ્થાનિકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક અહેવાલ મુજબ ઈલેક્ટ્રીક વાયરોમાં આગ લાગી હોવાને કારણે આખી બિલ્ડીંગમાં આગ ફેલાઈ ગઈ હતી. જેમા ત્રીજા માળે શોર્ટ સર્કીટ થયા પછી આખી બિલ્ડીંગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યા પછી બિલ્ડીંગ આખી જાણે કે ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગઈ હતી. જોકે બીજી તરફ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સારી વાત એ છે કે આગની ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી. જો કે ભીષણ આગને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
અમદાવાદ ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશપુરી ગોસ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઈલેક્ટ્રિક ડકમાં આગ હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ઘરમાં આગ લાગી નહોતી, પણ ધુમાડો ખૂબ જ ફેલાઈ ગયો હતો, જેના કારણે લોકોને અમે નીચે ઉતારવાનું શરૂ કર્યું હતું. ધુમાડાની વચ્ચેથી લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. સોસાયટીમાં લાગેલી ફાયર સિસ્ટમમાં ઇન લેટમાં અમારાં ફાયર સાધનનો ઉપયોગ કરી દરેક માળ ઉપર લગાવેલાં સાધનની મદદથી આગ ઠારવામાં આવી હતી. સોસાયટીમાં જે ફાયર સિસ્ટમ હતી એ કાર્યરત હતી, જોકે જે સાધનો છે એમાંના કેટલાંક સાધનો એક્સપાયર થઈ ગયેલાં હતાં. એ અંગેની ચકાસણી કરવા માટે સોસાયટીના ચેરમેનને બોલાવવામાં આવ્યા છે અને ફાયર એનઓસી રિન્યૂ હતી કે નહીં એ અંગેની અમે ચકાસણી કરીશું.