ચૈત્રી નવરાત્રીના આઠમ નોરતે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં માઇ ભક્તો પહોંચ્યા છે. મા મહાકાલીના પ્રાગટ્ય દિવસને લઇને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે.
ચૈત્ર નવરાત્રીમાં રાજ્યના વિખ્યાત મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં દેવી-દેવતાના દર્શન માટે પહોંચ્યા છે. આજે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કરવા ગત રાત્રીથી પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઇ ભક્તોનું કીડિયારું ઘોડાપૂર ઉમટ્યું છે.
રવિવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે પાવાગઢના તમામ જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ જોવા મળ્યા હતા. પાવાગઢમાં નવરાત્રીની આઠમને લઇને વિશેષ હવન અને દર્શનનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે આઠમ તેમજ નવમીએ એક લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતાથી જ મા મહાકાળીના દર્શન કરવા યાત્રાધામ પાવાગઢ ખાતે રોજે રોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલ્લે તે પહેલા જ મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. મા મહાકાલીના પ્રાગટ્ય દિવસને લઇને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે.
શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી. વહેલી સવારે મંદિરના કપાટ ખુલવાની સાથે જ માઇ ભક્તોએ લાંબી લાંબી કતારોમાં જોડાઈ વારાફરતી શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરતા નજરે પડતા હતા. આ સાથે સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટી જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠી હતી.
ચૈત્રી નવરાત્રીના પગલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્ધારા સમય પત્રક જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ નિજ મંદિરના દર્શન માટે સમય માં ફેરફાર કરાયો હતો. આજે આઠમાં નોરતે સવારે 4 વાગ્યે મંદિરના કપાટ દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. માંતાજીના દર્શન કરવા ગત રાતથી જ પાવાગઢની તળેટીથી લઈ માંચી અને છેક ડુંગરની ટોચ પર માતાજીના મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું.
પાવાગઢ ડુંગર પર મા કાલિકાના દર્શન માટે વર્ષ દરમિયાન આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, આઠમનો હવન તથા જાહેર રજાઓ દરમિયાન ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે.
પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના શ્રદ્ધાળુ માઇ ભક્તો વાર તહેવાર સહિત રોજે-રોજ પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં પણ માતાજીની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા હોય છે. જેથી લોકોએ શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.