જો ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ CSK જીતી શક્યું હોતઃ શેન વોટસન

dhoni-shaneWatson

ચેન્નાઈનાં ચેપોક સ્ટેડિયમમાં RCBએ CSKને 50 રનથી હરાવ્યું. 17 વર્ષ પછી RCBએ ચેપોકમાં જીત મેળવી. આ મેચમાં, ધોની નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને 16 બોલમાં અણનમ 30 રન બનાવ્યા, પરંતુ ત્યાં સુધીમાં રમત CSKના હાથમાંથી નીકળી ગઈ હતી.

IPLની 18મી સિઝન ચાલી રહી છે. શુક્રવારે ચેન્નાઈનાં ચેપોક સ્ટેડિયમમાં RCB અને CSK વચ્ચે રમાયેલ મેચમાં RCBએ 50 રનથી CSKને હરાવ્યું હતુ. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર CSKનાં બેટિંગ ઓર્ડર અંગે ચર્ચા ચાલી રહી છે કે CSKની હાર પાછળનું કારણ એમએસ ધોનીનું 9 નંબર પર બેટિંગ કરવા આવવું છે. જા મુદ્દે હવે એક અનુભવી ખેલાડીએ ધોનીના બેટિંગ ક્રમ અંગે મોટું નિવેદન આપ્યું છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની રણનીતિથી આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીનું બેટિંગ ક્રમમાં સતત નીચે આવવું સમજની બહાર છે.

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન શેન વોટસન RCB અને CSK બંને ટીમ માટે રમી ચૂક્યા છે, તેમણે એમએસ ધોનીના બેટિંગ ક્રમ વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જો ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ ચેન્નાઈનાં જીતવાનાં ચાંસની ટકાવારી વધી હોત. તેમણે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમણે ‘થાલા’ને આટલા નીચલા ક્રમમાં બેટિંગ કરવા માટે મોકલવો જોઈતો ન હતો. જ્યારે CSKને ઝડપથી રન બનાવવાની જરૂર હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિનને બેટિંગ માટે મોકલવામાં આવ્યો તેના કરતા એમએસ ધોનીને મોકલવો જોઈતો હતો.

શેન વોટસને જિયો હોટસ્ટાર પર વાત કરતા કહ્યું કે, “CSKનાં ચાહકો ખરેખર ધોનીને આવી રીતે જ રમતો જોવા આવે છે કે જે રીતે તેમણે 16 બોલમાં 30 રન બનાવ્યા. મને વ્યક્તિગત રીતે પણ તેને ઉપરના ક્રમમાં બેટિંગ કરતો જોવાનું ગમ્યું હોત. મારું માનવું છે કે તેણે રવિચંદ્રન અશ્વિન પહેલાં બેટિંગ કરવા આવવું જોઈતું હતું.”

જે પરિસ્થિતિમાં મેચ હતી તે જોતાં ધોનીએ ઓછામાં ઓછા 15 બોલ વધુ રમવા જોઈતા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે વારંવાર સાબિત કર્યું છે કે તે હજુ પણ શાનદાર બેટિંગ કરી શકે છે. જો તેણે ઉપલા ક્રમે બેટિંગ કરી હોત તો તે પોતાની કુશળતા વધુ સારી રીતે દર્શાવી શક્યો હોત અને વધુ સારી રીતે રમી શક્યો હોત.

શેન વોટસને એમ પણ કહ્યું કે જો ધોની ઉંચી બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની શક્યતા વધી ગઈ હોત. તેમણે કહ્યું કે ધોનીએ ફટકારેલા ચોગ્ગા અને છગ્ગા દર્શકોને ચોક્કસ ગમ્યા હશે, પરંતુ જો ધોની પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો કદાચ CSK જીતી શક્યું હોત. ધોનીએ ૧૬ બોલમાં ૩૦ રનની ઇનિંગ દરમિયાન ૩ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા.