અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે માઘ પૂર્ણિમાનાં પવિત્ર દિવસે સ્વર્ગવાસ થયું છે. બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
તારીખ 2 ફેબ્રુઆરી રવિવારે મોડી સાંજે આચાર્ય સત્યેન્દ્ર દાસની તબિયત ખરાબ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમને લખનઉ સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા આચાર્ય સત્યેન્દ્ર દાસને તારીખ 3 ફેબ્રુઆરીએ લખનઉના SGPGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોકટરોની દેખરેખ હેઠળ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બ્રેઈન સ્ટ્રોકની સાથે તેમને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી. તેમને પીજીઆઈના ન્યુરોલોજી વોર્ડ એચડીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 87 વર્ષીય સત્યેન્દ્ર દાસે છેલ્લા 33 વર્ષથી રામલલાની સેવા કરી રહ્યા હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન અંગે હોસ્પિટલ દ્વારા જારી કરાયેલી રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસજીએ આજે અંતિમ શ્વાસ લીધા. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યુરોલોજી વોર્ડના એચડીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 87 વર્ષીય આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય કહે છે, “આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે સવારે અવસાન થયું. તેઓ ૮૭ વર્ષના હતા. તેમણે આખી જિંદગી વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવ્યું. તેઓ ૧૯૯૩માં રામ જન્મભૂમિના પૂજારી બન્યા. થોડા દિવસો પહેલા તેમને મગજનો હુમલો આવ્યો હતો. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી યોગીએ X પર પોસ્ટ કરતા કહ્યું કે “ભગવાન રામના પરમ ભક્ત અને શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી અયોધ્યા ધામના મુખ્ય પૂજારી આચાર્ય શ્રી સત્યેન્દ્ર કુમાર દાસજી મહારાજનું નિધન અત્યંત દુઃખદ છે અને આધ્યાત્મિક જગતને ન પુરી શકાય તેવી ખોટ છે.
સત્યેન્દ્ર દાસે 1975માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આ પછી 1976માં તેમને અયોધ્યાની સંસ્કૃત કોલેજમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી હતી. બાબરી મસ્જિદ વિવાદ દરમિયાન 1 માર્ચ 1992 ના રોજ ભાજપના સાંસદ વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને તત્કાલીન VHP વડા અશોક સિંઘલની સંમતિથી રામ જન્મભૂમિની જવાબદારી સત્યેન્દ્ર દાસને સોંપાઈ હતી. તેમને મુક્ય પુજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કામચલાઉ તંબુથી ભવ્ય મંદિરમાં રામ લલ્લાના રાજ્યાભિષેક સુધી તેઓ રામ લલ્લાના સેવક તરીકે કામ કરતા રહ્યા.
6 ડિસેમ્બર,1992ના રોજ જ્યારે બાબરી વિધ્વંસ થઈ તે દિવસે રામલલાને ગોદમાં લઈને તેઓ ભાગ્યા હતા. ત્યારથી અત્યાર સુધી તેઓ રામલલાની સેવા કરતા હતા. 1992 માં જ્યારે તેમને રામ મંદિરમાં નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમને દર મહિને 100 રૂપિયા પગાર મળતો હતો. વર્ષ 2018 સુધી સત્યેન્દ્ર દાસનો પગાર માત્ર 12 હજાર રૂપિયા પ્રતિ માસ હતો. 2019 માં તેમનો પગાર વધારીને 13,000 રૂપિયા કરવામાં આવ્યો.