ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે (7 ડિસેમ્બર) વારાણસીના સર્વવેદ મહામંદિર ધામમાં આયોજિત ‘વિહંગમ યોગ સંત-સમાજ’ની સ્થાપનાના શતાબ્દી સમારોહ મહોત્સવમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘દરેક કામ દેશના નામે હોવું જોઈએ, આપણું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ નથી. જો આપણો દેશ સુરક્ષિત છે તો આપણો ધર્મ પણ સુરક્ષિત રહેશે અને જો આપણે ધર્મ સુરક્ષિત છે, તો જ આપણે પણ સુરક્ષિત રહીશું.’
વધુમાં તેમણે કહ્યું કે, ‘આ દેશ ગુલામીની બેડીઓ બંધાયેલો હતો. ગુલામીની બેડીઓથી મુક્ત કરાવવા માટે આપણી આધ્યાત્મિકતાની સાથો સાથ સદગુરુ સદાફલ મહારાજે આઝાદીના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.’ તેમણે કહ્યું કે, ‘ચૂપચાપ એકલા નથી બેસી રહેવાનું. એક કામ પૂર્ણ થાય તો આગળના કામની શરૂઆત કરી દેવાની છે, પરંતુ દરેક કામ દેશ અને સનાતન ધર્મના નામ પર થવું જોઈએ. એક સાચા સંત દેશ અને સમાજની પરિસ્થિતિઓથી હાથ પર હાથ રાખીને ચૂપચાપ બેસી ન શકે.’
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે
આગામી પ્રયાગરાજ મહાકુંભનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, ‘એક કુંભ અહીં પર છે, તો બીજો મહાકુંભ પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રયાગરાજ મહાકુંભને સાંસ્કૃતિક વારસા(ધરોહર) તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં આ વર્ષ આપણા માટે ખુબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ 500 વર્ષના લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલા ફરીથી બિરાજમાન થયા છે.’
વડાપ્રધાન મોદીએ 10 વર્ષમાં કાશીને રોશન કર્યું છે
પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન વારાણસીમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘તમે જોતા જ હશો કે આજે કાશી નવી કાશી છે. વડાપ્રધાન મોદીએ 10 વર્ષમાં કાશીને રોશન કર્યું છે. આજે કાશીમાં નમો ઘાટ છે. તે દેશનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો ઘાટ છે, જેમાં હેલિપેડ પણ છે. કાશીના દેવ મંદિરો નવજીવન પામ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક – તે રોડ, રેલ અને એર કનેક્ટિવિટી, બધુ જ 2014 પહેલાં જે હતું તેના કરતાં હવે 100 ગણું સારું છે.