‘DEEP STATE’: અદાણીના બહાને ફરી ભારત પર ખરાબ નજર, શું મોદી સરકાર પણ નિશાના પર? જાણો શું છે ‘ડીપ સ્ટેટ’?

deep-state

DEEP STATE: ઉદ્યોગપતિ અને બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં છે. આરોપ છે કે તેમણે ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટ્સના ટેન્ડર માટે ભારતીય અધિકારીઓને લગભગ 2લાખ 250 કરોડ ($265 મિલિયન)ની લાંચ ઓફર કરી હતી. જે બાદ અદાણી સમૂહના આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકી રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કરાયુ. આરોપ છે કે અદાણી ગૃપે રોકાણકારોને લાંચ અને ભ્રષ્ટાચારની જાણકારી નથી આપી. આ પ્રોજેક્ટ્સ થી અદાણી ગૃપને 20 વર્ષમાં લગભગ $2 બિલિયનનો નફો થવાનું અનુમાન હતુ.

રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની માંગ કરી
અદાણી પર અમેરિકામાં ધોખાધડી, લાંચ દેવાનો આરોપ સામે આવતા જ કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકાર પર આક્રમક જોવા મળી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની માંગ કરી છે. નિષ્ણાતો આ બધાને ‘ડીપ સ્ટેટ’ની એક ચાલ ગણાવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય મોદી સરકારને અસ્થિર કરવાનો છે.

‘ડીપ સ્ટેટ’ મોદી સરકારને અસ્થિર કરવા માંગે છે.
ભારત સરકાર અને વેપાર જગત હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના સમયને લઈને ચિંતિત છે. રશિયન મીડિયા ઈન્સ્ટિટ્યૂટ સ્પુટનિકની ભારતીય શાખા સ્પુટનિક ઈન્ડિયા અનુસાર, નિષ્ણાતો તેને ‘ડીપ સ્ટેટ’નું ષડયંત્ર માની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ‘ડીપ સ્ટેટ’ મોદી સરકારને અસ્થિર કરવા માંગે છે. બાંગ્લાદેશમાં અમેરિકાની ભૂમિકાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે માર્કેટ રેગ્યુલેટરી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સામેનો અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ પણ ‘ડીપ સ્ટેટ’ની યુક્તિઓનો એક ભાગ છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ સ્પુટનિક ઇન્ડિયાને જણાવ્યું છે કે તેનો હેતુ ભારતીય સંસ્થાઓમાં વિશ્વાસને નબળો પાડવાનો છે.

શા માટે યુએસ ‘ડીપ સ્ટેટ’ ભારત પર હાથ ધોઈને પાછળ પડી ગયુ છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય અધિકારીઓને હિંડનબર્ગ રિસર્ચના પ્રયાસની જાણકારી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે પશ્ચિમી શક્તિઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અસ્થિર કરવાના આ પ્રયાસો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશો ભારતને અસ્થિર કરવા ઈચ્છે છે તેના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે…

➤ ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આવનારા દાયકાઓમાં તે યુએસને પાછળ છોડી શકે છે.
➤ ડોલરના વપરાશમાં ઘટાડા વચ્ચે ભારતીય રૂપિયાનો ઉપયોગ વધી રહ્યો છે.
➤ ભારતની વિદેશ નીતિમાં વ્યૂહાત્મક સ્વાયત્તતાની મજબૂત પરંપરા છે.

સૂત્રોનો દાવો છે કે ‘આ ભારતની સરકારી સંસ્થાઓને બદનામ કરવાનો સીધો પ્રયાસ છે. આ હુમલો માત્ર અદાણી પર નથી, પરંતુ સેબીની ઈમાનદારી પર છે. એ જ રીતે, તેમના અગાઉના રિપોર્ટે (જાન્યુઆરી 2023માં) મુખ્ય સરકારી સંસ્થાઓ જેમ કે LIC, SBI અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકોમાં ગભરાટ પેદા કર્યો હતો કે જે અદાણી ગ્રૂપના શેરોમાં રોકાણ કરે છે.

મજબૂત બની રહેલા ભારત કોની ખરાબ નજર છે?
વર્ષ 2019માં ભારતના શેરબજારનો GDP રેશિયો 77% હતો જે 2023-24માં વધીને 124% થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બજારોમાં કોઈપણ ગરબડની સીધી અસર લાખો મધ્યમ વર્ગના ભારતીયો પર પડી શકે છે જેમણે બજારમાં સીધું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, નિષ્ણાતોએ નોંધ્યુ છે કે હિન્ડેનબર્ગનો જે ઈરાદો હતો તેનાથી બિલકુલ ઉંધુ થયું છે. તેમણે કહ્યું કે LIC એ અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે, જોકે તે નજીવો વધારો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ‘આની પાછળ એક આર્થિક હેતુ પણ છે, જે અદાણીના શેરોને શોર્ટ કરીને નફો કમાવવાનો છે. એવું માનવામાં આવે છે કે લગભગ 200 અમેરિકન સ્ટોક બ્રોકર્સ અને મધ્યસ્થીઓને ગયા જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા હિન્ડેનબર્ગ રિપોર્ટની એડવાન્સ કોપી મળી ગઈ હતી, જેના કારણે ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં શેરબજારનો સૌથી મોટો કડાકો થયો હતો. તેમણે કહ્યું કે હિંડનબર્ગે હજુ સુધી સેબીને સ્પષ્ટતા કરી નથી કે અદાણીના શેર શોર્ટ કરવાથી તેને ફાયદો થયો કે નહીં. ગયા મહિને સેબી દ્વારા હિંડનબર્ગને આપવામાં આવેલી કારણ બતાવો નોટિસમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

“રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર અદાણી સામે પગલાં લઈ રહી નથી. જો કોઈ ગુનો કરે છે, તો તેને જેલમાં મોકલવામાં આવે છે. 10-12 કરોડ માટે મુખ્યમંત્રીને જેલમાં મોકલવામાં આવે છે, પરંતુ 2000 કરોડનું કૌભાંડ કર્યા પછી અદાણી સુરક્ષિત છે. હવે અમેરિકન એજન્સીએ કહ્યું છે કે તેમણે ગુનો કર્યો છે. તેમણે ભારતમાં લાંચ આપી છે. પીએમ મોદી કશુ કરી પણ નહીં શકે કારણ કે તે અદાણીના નિયંત્રણમાં છે. આ માણસે 2000 કરોડનું કૌભાંડ કર્યું છે પણ તેમને કંઈ થશે નહીં.”
રાહુલ ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા

ભારતીયો પણ બાહ્ય ડીપ સ્ટેટને ટેકો આપે છે
નોંધનીય છે કે સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે ‘ડીપ સ્ટેટ’ના લોકોને કેટલાક ભારતીયોનું પણ સમર્થન મળી રહ્યું છે. આમાં કથિત રીતે વિપક્ષી નેતાઓ, હરીફ ઉદ્યોગપતિઓ અને સરકારના કેટલાક લોકો સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે આ ભારતીય સંસ્થાઓ ‘ટૂંકા ગાળાના રાજકીય અથવા આર્થિક લાભ’ના લાલચમાં વ્યાપક ભૂરાજકીય સંદર્ભને અવગણી રહી છે. સૂત્રોનો દાવો છે કે ‘હિન્ડેનબર્ગને જે દસ્તાવેજો મળ્યા છે તે ભારતીયોની મદદ વિના શક્ય ન હતુ. ‘ડીપ સ્ટેટ’માં અમેરિકન સંસ્થાનોનો એક વર્ગ અને જ્યોર્જ સોરોસ જેવા અબજોપતિઓનો સમાવેશ થાય છે, જેઓ ભારતમાં બહુવિધ મોરચા ધરાવે છે.’

કોંગ્રેસે સેબીના વડા માધબી પુરી બુચના રાજીનામાની માંગ કરી
નોંધનીય છે કે તાજેતરના આરોપો પછી, ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સેબીના વડા માધબી પુરી બુચના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને ગૌતમ અદાણીની ધરપકડની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રક્ષણ આપી રહ્યા છે

ભાજપનો આરોપ – રાહુલ ભારતને નબળું પાડવા માંગે છે
તે જ સમયે, સત્તાધારી પક્ષ ભાજપે રાહુલના આરોપો પર કહ્યું છે કે તે એક દિવસ આરોપ લગાવે છે અને બીજા દિવસે માફી માંગે છે. રાહુલની પ્રેસ કોન્ફરન્સ બાદ બીજેપી સાંસદ સંબિત પાત્રાએ કહ્યું છે કે રાહુલ ગાંધીને દેશ વિરોધી વાતો કરવાની આદત પડી ગઈ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતના શેરબજારમાં પાયમાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, બીજેપીના અન્ય સાંસદ કંગના રનૌતે ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેઓ આ દેશ, તેની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.

સેબી આ આરોપોને ફગાવી રહી છે
સેબીએ તેની સામેના આરોપોને ફગાવી દીધા છે. સેબીએ કહ્યું છે કે તે અદાણી ગ્રૂપ સામે ચાલી રહેલી તપાસમાં હળવાશ દાખવી રહી નથી. આ સિવાય ભારતીય બજાર નિયમનકારે પણ બુચ સામેના ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી દીધા છે. સેબીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘માનનીય સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરી, 2024ના તેના આદેશમાં જણાવ્યું હતું કે સેબીએ અદાણી જૂથ સાથે સંબંધિત 24 માંથી 22 કેસની તપાસ પૂર્ણ કરી છે. ત્યારબાદ, બીજી તપાસ માર્ચ 2024 માં પૂર્ણ કરવામાં આવી હતી અને બાકીની એક તપાસ પૂર્ણ થવાની તૈયારી છે.

સેબીના નિવેદનમાં વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે બુચે સમય-સમય પર ‘સંબંધિત ખુલાસાઓ’ કર્યા છે, અને ‘હિતોનો સંઘર્ષ થઈ શકે તેવી બાબતોથી પોતાને દૂર રાખ્યા છે’. સેબીના વડા અને તેમના પતિએ અદાણીના મની લોન્ડરિંગ સાથે જોડાયેલા બે વિદેશી ફંડ્સમાં તેમનો હિસ્સો છુપાવ્યો હોવાના આરોપના જવાબમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન, અદાણી ગ્રૂપે હિંડનબર્ગના નવા રિપોર્ટમાં લાગેલા આરોપોને ‘દુર્ભાવનાપૂર્ણ, તોફાની અને પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ પર પહોંચવા માટે જાહેરમાં ઉપલબ્ધ માહિતીની હેરફેર’ ગણાવી છે. તેમણે કહ્યું છે કે ‘તથ્યો અને કાયદાની અવગણના કરીને વ્યક્તિગત લાભ મેળવવા’ માટે આ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે, અદાણીએ હિંડનબર્ગના આરોપોને ‘ભારત પર સુનિયોજિત હુમલો’ ગણાવ્યો હતો.

હિન્ડેનબર્ગ રિપોર્ટનો સમય ઘણું બધું કહે છે
સ્પુટનિક ઇન્ડિયાએ ભારતીય જાહેર સંસ્થાઓને લક્ષ્ય બનાવવાના હિન્ડેનબર્ગ રિસર્ચના ઉદ્દેશ્યને સમજવા માટે કેટલાક ભારતીય બજાર નિષ્ણાતો સાથે પણ વાત કરી હતી. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ KRIS ના સ્થાપક અને ડાયરેક્ટર અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે ‘હિંડનબર્ગનો ઇરાદો ભારતના સ્થાનિક રાજકારણમાં સીધો હસ્તક્ષેપ કરવાનો ન હોઈ શકે, પરંતું એવુ લાગે છે કે તે ફરીથી વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટનો સમય શંકાસ્પદ છે. તે બાંગ્લાદેશની ઘટનાઓ, સંસદ સત્ર સ્થગિત અને બજેટ સત્રના સમાપન પછી આવી છે. આ એક ભૌગોલિક રાજકીય મુદ્દો હોઈ શકે છે, જો કે તે અનપેક્ષિત છે. હિન્ડેનબર્ગ, ભલે સીધી રીતે ઈન્વોલ્વ ના હોય, પરંતુ આને ભૌગોલિક રાજકીય મુદ્દામાં ફેરવવા માટે બળતણ અને દારૂગોળો તો પૂરો પાડી શકે છે.’

હિંડનબર્ગ એક રીતે ‘ગંદી રમત રમી રહ્યું છે
અરુણ કેજરીવાલે કહ્યું કે હિંડનબર્ગ એક રીતે ‘ગંદી રમત રમી રહ્યું છે અને ધ્યાન ભટકાવવા વાળી રણનીતિ દ્વારા ભારતીય બજારમાં તબાહી મચાવવાની કોશિશ કરી રહ્યું છે’. તદુપરાંત, તેમણે તે પણ યાદ અપાવ્યું કે સેબીના વડાને લગતા આરોપ ‘પહેલેથી જ રદબાતલ’ કરવામાં આવ્યા છે. અરુણ કેજરીવાલે સૂચવ્યું કે આમનો વાસ્તવિક હેતુ ભારતીય શેરોને શોર્ટ કરીને પૈસા કમાવવાનો છે.

કેજરીવાલે કહ્યું, ‘છેલ્લી વખતે જ્યારે હિંડનબર્ગે રિપોર્ટ જાહેર કર્યો ત્યારે કોઈને તેની અપેક્ષા નહોતી. જેના કારણે શેરબજારમાં ગભરાટ અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું અને અદાણી ગ્રુપને મોટું નુકસાન થયું હતું. જો કે, આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે આપણે જોયું તેમ, અહેવાલની કોઈ ખાસ અસર જોવા મળી નથી. ભારતીય શેરબજારમાં ગભરાટ ફેલાવવાનો તેમનો હેતુ નિષ્ફળ ગયો છે.’

ભારત સરકારે હિંડનબર્ગ સામે પગલાં લેવા જોઈએ
જો કે, તેમણે કહ્યું કે ભારતે હિંડનબર્ગને છોડવુ જોઈએ નહીં કારણ કે તેણે સેબી પર હુમલો કર્યો છે. નિષ્ણાતે SEBIને સૂચન કર્યું છે કે તેઓ IOSCOને પત્ર લખે અને હિંડનબર્ગના ઓળખપત્રો તેમજ તેનું નિયમન(સંચાલન) કોણ કરે છે તેની માહિતી મેળવે. IOSCO વિશ્વભરના માર્કેટ રેગ્યુલેટરની દેખરેખ રાખે છે. કેજરીવાલે કહ્યું, ‘હિંડનબર્ગે હવે જ્યારે એક ભારતીય સંસ્થા પર સીધો આરોપ મૂક્યો છે, તો નિયમનકાર અને સરકાર તરફથી જવાબી કાર્યવાહી થવાનું નિશ્ચિત છે.’

ભારતીય બજાર ચોક્કસપણે પરિપક્વ થઈ રહ્યું છે.
બીજી તરફ ઈન્ડિટ્રેડ કેપિટલના ગ્રૂપ ચેરમેન સુદીપ બંદ્યોપાધ્યાયનું કહેવું છે કે યુ.એસ.માં એક્ટિવિસ્ટ રોકાણકારો માટે મેનેજમેન્ટ પર આરોપ મૂકવો અને સંપૂર્ણ ફેરફારની માગણી કરવી તે સામાન્ય બાબત છે. તેમણે કહ્યું કે આ દરમિયાન, હિંડનબર્ગ જેવા શોર્ટ સેલર્સના આરોપોને વધુ સારી રીતે હેન્ડલ કરીને ભારતીય બજાર ચોક્કસપણે પરિપક્વ થઈ રહ્યું છે. બંદ્યોપાધ્યાયે કહ્યું, ‘અમે જોયું કે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શું થયું હતુ, જ્યારે બજાર ઘટ્યું અને પછી રિકવર થયું. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટમાં જ્યારે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો ત્યારે પણ આવી જ બાબત જોવા મળી હતી.

શું છે ‘ડીપ સ્ટેટ’?
અમરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા અદાણી પર લગાવાયેલા આરોપો બાદ હવે ડીપ સ્ટેટ ફરી ચર્ચામાં આવ્યુ છે. સમગ્ર વિશ્વમાં ડીપ સ્ટેટની ચર્ચા પહેલેથી જ છે. ત્યારે હવે ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનવાના છે ત્યારે આ ડીપ સ્ટેટની ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે. ડીપ સ્ટેટની થિયરીમાં માનનારાઓનું કહેવુ છે કે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમાંતર ચાલતી સિસ્ટમ છે. જેમા સૈન્ય, ઈન્ટેલિજન્સ અને બ્યૂરોક્રેસીના લોકો સામેલ છે. આ લોકો સરકાર સિવાય પોતાની નીતિઓ લાગુ કરે છે અને વિદેશ નીતિ અને અન્ય નીતિઓને પ્રભાવિત કરે છે. જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે અમેરિકામાં ડીપ સ્ટેટ જેવુ કંઈ નથી. મિલિટરી, ઈન્ટેલિજન્સ અને બ્યૂરોક્રેસીના લોકો અમેરિકાના બંધારણ અને કાયદો વ્યવસ્થા અનુસાર જ કામ કરે છે. ઘણીવાર એવુ બને છે કે ચૂંટાયેલી સરકારોને ડીપ સ્ટેટનું કામ ગમતુ નથી આથી તેઓ આક્ષેપ કરે છે કે ડીપ સ્ટેટ તેમને કામ કરવા દેતુ નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના કાર્યકાળ દરમિયાન આવા આક્ષેપો કરતા રહ્યા છે કે ડીપ ઉદારવાદી અને ડાબેરી વિચારધારાના લોકો વહીવટીપદો પર બિરાજમાન છે અને તેમની નીતિઓને યોગ્ય રીતે થવા દેતા નથી તેને ટેકો આપતા દક્ષિણપંથી જૂથો પણ આવા જ આક્ષેપ કરે છે.