રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક ખેડૂતોને આપશે ઝીરો ટકા વ્યાજે લોન, અંદાજિત 2 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવશે

jayesh-radadiya

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા.

આ વરસે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગુજરાતનાં સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાના ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવુ પડ્યુ છે. ખેડૂતોને ડાંગર, મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખુબ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે.

ખેડૂતોની બેંક ગણાતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક(Rajkot District Co. Operative Bank)ના ચેરમેન જયેશ રાદડિયાએ 1000 કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે રૂ. 1000 કરોડનું ધિરાણ કરશે.ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે બેંકના બોર્ડે નિર્ણય કર્યો છે.

રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડીયા અને બોર્ડ ઓફ ડીરેકટર દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદો માટે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 1000 કરોડની લોન ખેડૂતોને 0 ટકા વ્યાજે 1 વર્ષ માટે આપવામાં આવશે. ખેડૂતોને 1 હેકટર દીઠ 10,000 રૂપિયા અને 5 હેકટર સુધી સહાય મળશે. એટલે કે ખેડૂતોને રૂપિયા 50 હજાર સુધીની લોન આપવામાં આવશે. અંદાજિત બે લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે અંતર્ગત બેંકને વર્ષે 100 કરોડનો બોજ વહન કરવો પડશે. બેક સાથે જોડાયેલા ખેડૂત સભાસદોને આ લોનનો લાભ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આના માટે કોઈ મોર્ગેજ કે અન્ય ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે નહીં.

વધુમાં જયેશ રાદડિયાએ ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા લેવા ન જવાની અપીલ પણ કરી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. તો ખેડૂતો અમારી બેંક પાસે આવે અને સભાસદ બની લોનનો લાભ લે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકશે.