જમ્મુ-કાશ્મીરમાં જીત બાદ ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીને પદ પરથી હટાવવાની કરી વાત

omarAbdullah

જ્યાં સુધી કેન્દ્રમાં સરકાર નહીં બદલાય અને વડાપ્રધાન નહીં બદલાય ત્યાં સુધી કલમ 370ની પુનઃસ્થાપના પર વાતચીત શક્ય નથી

જમ્મુ-કાશ્મીરમાં જીત બાદ ઓમર અબ્દુલ્લાએ કલમ 370 પર નેશનલ કોન્ફરન્સના સ્ટેન્ડને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વર્તમાન કેન્દ્ર સરકાર હેઠળ તેને પુનઃસ્થાપિત કરવાની અપેક્ષા રાખી શકાય નહીં.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને બહુમતી મળી છે. પરિણામ બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ડૉ. ફારુક અબ્દુલ્લાએ મોટું એલાન કરતાં કહ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. ત્યારે હવે ઓમર અબ્દુલ્લાએ બુધવારે કલમ 370 મુદ્દે નેશનલ કોન્ફરન્સના સ્ટેન્ડ પર વાત કરી છે.

ઓમર અબ્દુલ્લાએ બુધવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “અમારું રાજકીય વલણ બદલાશે નહીં. તેમણે કલમ 370 પર મૌન રહેવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે કલમ 370ના મુદ્દે ચૂપ રહીશું અથવા તો તે હવે અમારા માટે કોઈ મુદ્દો નથી. પરંતુ અમે લોકોને મૂર્ખ બનાવવા તૈયાર નથી. મેં હંમેશા કહ્યું છે કે કલમ 370 હટાવનારા લોકો પાસેથી તે પાછું મેળવવાની અપેક્ષા રાખવી તે મૂર્ખતા છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રમાં સરકાર નહીં બદલાય અને વડાપ્રધાન નહીં બદલાય ત્યાં સુધી કલમ 370ની પુનઃસ્થાપના પર વાતચીત શક્ય નથી. અબ્દુલ્લાએ કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે આજે નહીં તો કાલે દેશમાં સરકાર બદલાશે, શાસન બદલાશે અને એક એવી સરકાર આવશે, જેની સાથે અમે આ મુદ્દા પર વાત કરી શકીશું અને જમ્મુ-કાશ્મીર માટે કંઈક હાંસલ કરી શકીશું.”

એક તરફ જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એવુ કહી રહ્યા છે કે કેન્દ્રશાસિત પ્રદેશને આપવામાં આવેલ વિશેષ દરજ્જો પાછો મેળવવાની લડાઈ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ ઓમર અને તેમના પિતા અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાનો મત આનાથી બિલકુલ અલગ છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ કલમ 370 હટાવવાના વિરોધમાં છે પરંતુ તેમનું મુખ્ય ધ્યાન પ્રદેશના વિકાસ પર છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધુ હતું.

નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને જમ્મુ-કાશ્મીરમાં 48 બેઠકો મળી છે અને ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદ સંભાળી શકે છે.