ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ, નૈનીતાલ હાઈકોર્ટ કોલોની પણ આગની ઝપેટમાં, આગ પર કાબૂ મેળવવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

Nainital-Uttarakhand-Fire

નૈનીતાલ જિલ્લાના બલદિયાખાન, જ્યોલિકોટ, મંગોલી, ખુરપાતાલ, દેવીધુરા, ભવાલી, પાઈન્સ, ભીમતાલ અને મુક્તેશ્વર સહિત અનેક વિસ્તારો આગની લપેટમાં આવ્યા

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. 26મી એપ્રિલે આ આગ લાગી હતી, જે ફેલાઈને નૈનીતાલમાં હાઈકોર્ટ કોલોની પાસે પહોંચી ગઈ છે. રૂદ્રપ્રયાગ જિલ્લાના જંગલમાં આગ લગાડનાર ત્રણ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ સ્થળોએ જંગલમાં આગ લાગવાના 31 નવા બનાવો નોંધાયા છે, જેમાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે.

અહેવાલો અનુસાર,નૈનીતાલ જિલ્લા મુખ્યાલય પાસેના જંગલોમાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નૈનીતાલ જિલ્લાના બલદિયાખાન, જ્યોલિકોટ, મંગોલી, ખુરપાતાલ, દેવીધુરા, ભવાલી, પાઈન્સ, ભીમતાલ અને મુક્તેશ્વર સહિત અનેક વિસ્તારો આગની લપેટમાં આવ્યા છે. 26મી એપ્રિલના રોજ આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. આગ પાઈન્સ વિસ્તારમાં આવેલી હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી છે. આગને કાબૂમાં લેવા માટે સેનાને બોલાવવામાં આવી હતી.નૈનીતાલના ડિવિઝનલ ફોરેસ્ટ અધિકારી ચંદ્રશેખર જોશીએ જણાવ્યું હતું કે, ‘અમે મનોરા રેન્જના 40 સૈનિકો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ પર કાબુ મેળવવા મોકલ્યા છે.’

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે તેમજ આગ પર કાબુ મેળવવાના કામ પર પણ સતત નજર રાખી રહ્યા છે. પાઈન્સ નજીક સ્થિત ભારતીય સેનાના સંવેદનશીલ વિસ્તારમાં આગ પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, શક્ય તેટલી વહેલી તકે આગને બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટર ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને જંગલમાં છાંટવામાં આવી રહ્યું છે. પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને સતર્ક રહેવા અને તમામ વિભાગો સાથે સંકલન કરીને તેને રોકવા માટે પગલાં લેવા જણાવ્યું છે. વન વિભાગના કર્મચારીઓની સાથે આર્મીના જવાનો પણ આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત છે.

ભીષણ આગને કારણે જંગલો બળીને રાખ થઈ ગયા હતા. નૈનીતાલના લાડિયાકાટાનું જંગલ પણ આગમાં બળીને ખાખ થઈ ગયું. જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે નૈનીતાલ ભવાલી રોડ પર ગાઢ ધુમાડાને કારણે કેટલાક કલાકો સુધી વાહનોની અવરજવર બંધ કરવી પડી હતી. ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જંગલમાં આગ લાગવા છતાં વન વિભાગનો કોઈ કર્મચારી કે અધિકારી ઘટના સ્થળે પહોંચી શક્યો ન હતો જેના કારણે વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.