વડોદરામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી, 2 શિક્ષક અને 10 વિદ્યાર્થીઓના મોત, બચાવ કામગીરી શરૂ

vadodara

વડોદરાની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી ઓછામાં ઓછા 27 લોકો બોટમાં સવાર હતા
કેપેસિટી કરતા વધુ બાળકો બોટમાં બેસાડ્યા હતા તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળેલ છે

વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. હરણી વિસ્તારમાં આવેલ તળાવમાં બોટીંગ કરતી વખતે વિદ્યાર્થીઓ ભરેલી બોટ ઉંધી પડી ગઈ હતી. જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડુબ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તથા બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ અભિયાન હાથ ધર્યું હતું. આ બોટમાં વિદ્યાર્થીઓ સહીત ઓછામાં ઓછા 27 લોકો સવાર હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના હરણી તળાવમાં બોટિંગ સમયે દુર્ધટના બની હતી. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા લેક વ્યુ હરણી ગામના તળાવની મુલાકાત લેવા ખાનગી સ્કૂલના બાળકોને લઈ શિક્ષકો પહોંચ્યા હતા જ્યાં તે બાળકોને બોટીંગ કરાવવા બોટમાં બેસાડવામાં આવ્યા હતા. અહીં 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષક એક જ બોટમાં બોટિંગ માટે બેઠા હતા, તે સમયે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડુબ્યા હતા. 11 બાળકોને બચાવવાાં સફળતા મળી છે જ્યારે 2 શિક્ષકો અને 10 વિદ્યાર્થીઓના મોત થયા છે તેમજ અન્ય વિદ્યાર્થીઓની શોધખોલ ચાલુ છે. અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજૂ લાપતા હોવાની વિગતો સામે આવી છે.

બોટ તળાવની વચ્ચે પહોંચતા વધુ ભારને કારણે પલટી ખાઈ જતા બાળકો ડૂબી ગયાની બુમાબૂમ થતા તેઓને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 27 લોકો આ બોટમાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાં લગભગ 23-24 વિદ્યાર્થી હોવાનો અંદાજ છે. તેમની સાથે શિક્ષક પણ હતા. બાળકોને એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે. 10 જેટલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 13 થી વધુ બાળકો વધુ ગંભીર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ 9 વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.

આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે બોટની કેપેસિટી 10 થી 12 બાળકોની હતી તેમ છતાં તેઓએ 20 થી 25 બાળકો એક જ બોર્ડમાં બેસાડતા વજન વધી જતા આ બનાવ બન્યો છે તેઓને ના પાડવા છતાં વધુ બાળકો બેસાડ્યા હતા. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.

આ સામે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, બાળકોને વધારે બેસાડ્યા ન હતા સાથે સાથે સેફટી ના જેકેટ પણ બાળકોને પહેરવવામાં આવ્યા હતા.

સ્થાયીથી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કે બોટ પલટી થઈ ગઈ છે તે અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે કઈ રીતે આ બનાવ બન્યો છે તેની સંપૂર્ણ તપાસ થયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવશે.