ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે. ટનલમાં છેલ્લા 10 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે અને જીવન મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. હાલ સિલક્યારા ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટેના યુદ્ધ સ્તર પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમાં સહકાર માટે ભારત સરકારના આગ્રહ પર આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ નિષ્ણાત અર્નોલ્ડ ડિક્સ પણ સિલક્યારા પહોંચી ગયા છે. તમામ પ્રકારની આધુનિક મશીનો કામે લગાડવામાં આવી છે. વિદેશી નિષ્ણાંતો, હાઇટેક મશીનનો ઉપયોગ કરીને શ્રમિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે ટનલને લઇને આવતા સમાચારોને સનસનીખેજ ન બનાવવા સરકારે ટીવી ચેનલોને અનુરોધ કર્યો છે.
આજે મંગળવારનાં રોજ સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને એક એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું કે “ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોના બચાવ કાર્યને લગતા સમાચારોને સનસનાટીભર્યા બનાવવાનું ટાળે”.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ખાનગી ન્યૂઝ ચેનલોને તેમના સમાચાર પ્રસારિત કરતી વખતે સંવેદનશીલતા દાખવવા અનુરોધ કર્યો છે. તેમાં પણ ખાસ કરીને ટનલમાં ફસાયેલ કર્મચારીઓની બચાવ કામગીરી સાથે સંબંધિત સમાચારોની હેડલાઈન્સ અને વીડિયોમાં સંવેદનશીલતા જળવાય તેનુ ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. કારણ કે આ પ્રકારના સમાચારો ટનલમાં ફસાયેલા કામદારોના પરિવારના સભ્યોની માનસિક સ્થિતિ પર વિપરીત અસર કરી શકે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ટીવી ચેનલોને કહેવામાં આવ્યું છે કે આ મુદ્દાને સનસનાટીભર્યા ન બનાવવા જોઈએ તેમજ ટનલની આસપાસ ચાલી રહેલા બચાવ અભિયાનનું જીવંત પ્રસારણ પણ ન કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ સમાચાર ચેનલોને એ પણ સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે કે કેમેરામેન, રિપોર્ટરો અથવા વિવિધ સાધનોની હાજરીથી બચાવ કામગીરીમાં કોઈપણ રીતે અવરોધ ન આવવો જોઇએ.
મંગળવારે સવારે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોઈ શકાય છે કે સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 10 દિવસથી ફસાયેલા 41 મજૂરો સુરક્ષિત છે. આ સમાચારથી મજૂરોના પરિવારોને મોટી રાહત મળી છે, તેઓ કહે છે કે હવે અમને આશા જાગી છે. બચાવકર્મીઓએ તમામ કામદારોને બચાવવા માટે ટનલની અંદર પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વિદેશના ટનલ નિષ્ણાતો સહિત વિવિધ એજન્સીઓને યુદ્ધના ધોરણે તૈનાત કરવામાં આવી છે.