અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે લાલુ યાદવનાં પુત્ર તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રીને સમન્સ જારી કર્યું
કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક, આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે: અરજદારનાં વકીલ
ગુજરાતીઓને ઠગ કહેવાના મામલે લાલુ યાદવનાં પુત્ર તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદનને લઈને આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોના ઓરિજિનલ પ્રૂફ પણ લેવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે એક નિવેદનમાં ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા.
તેમનાં આ નિવેદન બાદ ગુજરાતી બિઝનેસમેન હરેશ મહેતાએ આ નિવેદન પર વાંધો ઉઠાવતા તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમનું નિવેદન સમાજના લોકોને અસર કરે છે. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. તેમણે આ નિવેદન પર અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી છે. ફરિયાદીએ એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોની સીડી તેમજ પેન ડ્રાઈવના સાચા પુરાવા પણ જરૂરી સર્ટિફિકેટ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણીમાં અરજદારના વકીલ દ્વારા કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 અંતર્ગત ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી.
8 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ, ઇન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માગ કરી હતી. અરજદારના વકીલ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 364 જ્ઞાતિના લોકો રહે છે. કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક, આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે. આરોપી એક રાજ્યના ઉપમુખ્યમંત્રી છે. આ મુદ્દે આગામી સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરાશે.