ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પ્લેનમાં સવાર હતા
અમદાવાદમાં આજે એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના થઈ છે. શહેરનાં મેઘાણીનગર IPG કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન બપોરે 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. પ્લેન ક્રેશ થઈને બિલ્ડિંગ સાથે અથડાયું હતું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા જેમાં 12 ક્રૂ મેમ્બર્સ હતા. હાલમાં મળી આવેલા સમાચાર મુજબ અત્યાર સુધી 100થી વધુ લોકોનાં મોત થયા છે.
પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ભાજપના નેતાઓ અને પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા છે. ગુજરાતનાં પૂર્વ મૂખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા.
તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈમારત આગમાં લપેટાઈ જતાં ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા.
પીએમ મોદીએ X પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
માહિતી અનુસાર લોકોને દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલ નજીક ખોટી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે અને આ સાથે દુર્ઘટનાસ્થળથી દૂર રહેવા જણાવાયું છે. આ સાથે ડૉક્ટરોની ટીમ અને સહાયકકર્મીઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે.