શહેરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત સરખેજ, ચંડોળા તળાવ, જુહાપુરા, સરસપુર સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ કડીમાં હવે બાપુનગર વિસ્તારમાં પણ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આશરે 400થી વધુ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અજિત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને કાચાં-પાકાં મકાનો ગેરકાયદેસર હતાં, જેને પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતા.
તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરાં અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ડિમોલિશન બાદ હવે સમગ્ર કાટમાળ હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કાટમાળ દૂર કરાયા બાદ ત્યાં કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવી દેવામાં આવશે, જેથી લોકો ફરીથી તે જગ્યા પર કબજો ન કરે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર, અગાઉ તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. અહીં રહેતા કેટલાક લોકોને વર્ષ 2014માં વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યાં હતાં, તે છતા અમુક લોકો અહીં રહેતા હતા. થોડા સમય અગાઉ રખિયાલમાં પોલીસને તલવાર-ચપ્પુ બતાવી ધમકાવનારા અસામાજિક તત્વો પણ અહીં જ રહેતા હતા.
H ડિવિઝન એસીપી આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 2 ACP, 9 PI, 27 PSI, 400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્સન બંદોબસ્તમાં મૂક્યા હતા. શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલિશન કરવામાં આવ્યુ હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તાર તરીકે ઓળખાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરી સાથે 100 મજૂર સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે. ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. ગેરકાયદે બાંધકામોને જેતે સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમણે કહ્યું કે, 15,000 ચોરસ મીટર જેટલી જગ્યાના દબાણો દૂર કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇબ્રેરી ગાર્ડન, વોર્ડ ઓફિસ , જિમ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટેની વિચારણા હાથ ધરવામાં આવશે.