આ વિષય પર 97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા, અને વિવિધ સ્તરે બેઠકો યોજાઈ હતી જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વકફ સુધારા કાયદા અંગે “ખોટી વાર્તાઓ” ફેલાવવામાં આવી રહી છે.
વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સુપ્રીમ કોર્ટ બુધવારે સતત બીજા દિવસે વક્ફ સુધારા કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ મહત્વપૂર્ણ સુનાવણીમાં, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની પક્ષ રજૂ કર્યો. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ એવો કેસ નથી જ્યાં મંત્રાલયે એક બિલ ઘડ્યું હોય અને કોઈ પણ વિચાર કર્યા વિના વોટિંગ કરવામાં આવ્યું હોય. અમે એક ખૂબ જ જૂની સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છીએ જે 1923માં શરૂ થઈ હતી.
સરકારે કોર્ટને જણાવ્યું હતું કે વકફ એક્ટમાં ફેરફાર અંગે વિસ્તૃત ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો છે. તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી કે “અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.”
૯૭ લાખથી વધુ લોકો તરફથી સૂચનો મળ્યા
તેમણે કહ્યું કે આ વિષય પર 97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા, અને વિવિધ સ્તરે બેઠકો યોજાઈ હતી જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મહેતાએ આજે તેમની દલીલોમાં ખાસ ભાર મૂક્યો હતો કે વકફ સુધારા કાયદા અંગે “ખોટી વાર્તાઓ” ફેલાવવામાં આવી રહી છે.
એસજીએ જણાવ્યું હતું કે 25 વક્ફ બોર્ડ પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાએ રૂબરૂ આવીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, રાજ્ય સરકારો સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. તુષાર મહેતાએ કહ્યું કે “સુધારાના દરેક કલમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક સ્વીકારવામાં આવ્યા ન હતા.”
સરકારની દલીલ
સુનાવણી દરમિયાન, જસ્ટિસ બીઆર ગવઈએ પ્રશ્ન ઉઠાવ્યો કે તેમની દલીલ એ છે કે આ કિસ્સામાં સરકાર પોતાનો દાવો પોતે નક્કી કરશે? આ અંગે એસ.જી. મહેતાએ કહ્યું, “એ સાચું છે કે સરકાર પોતાના દાવાની ચકાસણી કરી શકતી નથી. શરૂઆતના બિલમાં કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર નિર્ણય લેશે. વાંધો એ હતો કે કલેક્ટર પોતાના કેસમાં જજ રહેશે. તેથી, જેપીસીએ સૂચન કર્યું કે કલેક્ટર સિવાય અન્ય કોઈને નિયુક્ત અધિકારી બનાવવો જોઈએ.” તેમણે સ્પષ્ટતા કરી કે મહેસૂલ અધિકારીઓ ફક્ત રેકોર્ડ માટે નિર્ણયો લે છે અને ટાઇટલને અંતિમ સ્વરૂપ આપતા નથી.
એસ.જી. મહેતાએ કહ્યું, “સરકાર બધા નાગરિકો માટે જમીનને ટ્રસ્ટી તરીકે રાખે છે. વકફ ઉપયોગ પર આધારિત છે – એટલે કે, જમીન કોઈ બીજાની છે, પરંતુ વપરાશકર્તાએ લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો છે. આવા કિસ્સામાં, તે જરૂરી છે કે તે ખાનગી અથવા સરકારી મિલકત હોય. જો કોઈ ઇમારત સરકારી જમીન પર હોય, તો શું સરકાર તપાસ ન કરી શકે કે તે મિલકત તેની છે કે નહીં?” કલમ 3(C) હેઠળ પણ આવી જ જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રએ કહ્યું કે સરકારી જમીન પર કોઈનો પણ અધિકાર હોઈ શકે નહીં, ભલે તે ‘વક્ફ બાય યુઝર’ ના આધારે જ કેમ ન હોય. જો કોઈ જમીન સરકારી હોય, તો સરકારને તેને પાછી લેવાનો સંપૂર્ણ અધિકાર છે. ભલે તેને વકફ જાહેર કરવામાં આવી હોય.
કેન્દ્રએ એમ પણ કહ્યું કે વકફ એક ધર્મનિરપેક્ષ વ્યવસ્થા છે અને આ કાયદો ફક્ત તેના વહીવટ અને વ્યવસ્થાપનને સુધારવા માટે લાવવામાં આવ્યો છે, તેની ધાર્મિક સ્વતંત્રતા પર કોઈ અસર થશે નહીં.
આ પેહલા 20 મેના રોજ, CJI બીઆર ગવઈ, જસ્ટિસ એજી મસીહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચ સમક્ષ, કેન્દ્રએ અગાઉ ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સુધી સુનાવણી મર્યાદિત રાખવા વિનંતી કરી હતી. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સુનાવણી એ ત્રણ મુદ્દાઓ પર થવી જોઈએ જેના પર જવાબો રજુ કરવામાં આવ્યા છે.
અરજદારો તરફથી વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, એએમ સિંઘવી અને રાજીવ ધવન હાજર થયા. સિબ્બલે કહ્યું કે સરકાર ધાર્મિક સંસ્થાઓને ભંડોળ આપી શકતી નથી. મંદિરોની જેમ મસ્જિદોને 1000-2000 કરોડ રૂપિયા દાનમાં મળતા નથી.
આના પર CJI એ કહ્યું, મેં મંદિર, દરગાહ અને ચર્ચની પણ મુલાકાત લીધી છે. દરેક પાસે પ્રસાદ માટે પૈસા હોય છે. જો કે, સિબ્બલે કહ્યું, દરગાહ એક અલગ બાબત છે, હું મસ્જિદો વિશે વાત કરી રહ્યો છું.
કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું- રાહત માટે દલીલો સ્પષ્ટ હોવી જોઈએ
બેન્ચે કહ્યું હતું કે મુસ્લિમ પક્ષે વચગાળાની રાહત મેળવવા માટે પોતાનો કેસ મજબૂત બનાવવો જોઈએ અને પોતાની દલીલો સ્પષ્ટ કરવી જોઈએ. અરજદારોએ જણાવ્યું હતું કે જો કોઈ મિલકત ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ના રક્ષણ હેઠળ હોય તો તે વક્ફ મિલકત ન હોઈ શકે.
કોર્ટનો પ્રશ્ન હતો – શું ASIની મિલકત પર નમાજ ન પઢી શકાય? જ્યારે વકફ મિલકત ASIના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યારે ધર્મ પાલનનો અધિકાર છીનવાઈ જાય છે. આ અંગે અરજદારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે નવા કાયદા હેઠળ, જો કોઈ મિલકત ASI સંરક્ષિત હોય તો તે વક્ફ મિલકત ન હોઈ શકે. જો વક્ફ રદ થાય તો તે હવે વક્ફ મિલકત નથી રહેતી. આ બંધારણના અનુચ્છેદ 25નું ઉલ્લંઘન છે.
આ દલીલ પર, CJI એ મુસ્લિમ પક્ષને સૂચના આપી હતી – “જો કોઈ સ્પષ્ટ મામલો ન હોય, તો કોર્ટ દખલ કરી શકતી નથી. દરેક કાયદાની તરફેણમાં બંધારણીયતાની ધારણા હોય છે. વચગાળાની રાહત આપવા માટે, તમારી દલીલો ખૂબ જ મજબૂત અને સ્પષ્ટ હોવી જોઈએ, નહીં તો, બંધારણીયતાની ધારણા બની રહેશે.”
સુપ્રીમ કોર્ટ નવા વક્ફ કાયદા વિરુદ્ધ ફક્ત 5 મુખ્ય અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજીનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને દલીલો માટે 7 કલાકનો સમય આપ્યો છે. મંગળવારે 3 કલાક સુધી અરજદારોની દલીલો સાંભળી હતી.