ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા સાઇટ X પર પ્રશ્ન કર્યો કે રાહુલ ગાંધીએ એક વાર પણ એ જાણવાનો પ્રયાસ કર્યો નહીં કે ઓપરેશન દરમિયાન કેટલા પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યા હતા અથવા ભારતના બોમ્બમારાથી કયા પાકિસ્તાની એરબેઝને નુકસાન થયું હતું.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓનું મનોબળ તોડી નાખ્યું હતું, ત્યારે આ મુદ્દા પર રાજકારણ પણ તેજ બન્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેટલા ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે તે અંગે પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે ભાજપે હવે વળતો પ્રહાર કર્યો છે.
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધી એ જ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જે પાકિસ્તાનના મીડિયા અને તેના સહાનુભૂતિ ધરાવતા લોકો પૂછી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનોથી તે આશ્ચર્યચકિત નથી. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેઓ આવું કેમ કહી રહ્યા છે? કારણ કે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનને અભિનંદન આપ્યા ન હતા. આ ઓપરેશન દ્વારા ભારતની તાકાત સ્પષ્ટ દેખાઈ રહી હતી.
અમિત માલવિયાએ એક ફોટો સાથે ટ્વિટ કરીને આ વાત કહી હતી. આ ફોટો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાહુલ ગાંધી બંનેના અડધા-અડધા ફોટા જોડીને બનાવવામાં આવ્યો છે. અમિત માલવિયાએ સોમવારે રાહુલ ગાંધીના તે ટ્વિટ બાદ આ પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં તેમણે ‘ઓપરેશન સિંદૂર’ના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ. જયશંકર પર પ્રહાર કર્યો હતો. જયશંકર દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણી અંગે તેમણે કહ્યું કે તે ‘ગુનો’ છે અને ‘પાપ’ની શ્રેણીમાં આવે છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાને જવાબ આપવો જોઈએ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.
અમિત માલવિયાએ પોતાની X પોસ્ટમાં કહ્યું કે રાહુલ ગાંધી વારંવાર પૂછી રહ્યા છે કે આપણા કેટલા જેટ વિમાનો તોડી પડાયા. જેનો જવાબ DGMO (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) દ્વારા સત્તાવાર બ્રીફિંગમાં પહેલાથી જ જણાવવામાં આવ્યું છે કે ભારત દ્વારા કેટલા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોઈ મોટું નુકસાન થયું નથી. રાહુલ ગાંધીએ એક વાર પણ એવુ પૂછ્યું નથી કે ઓપરેશન દરમ્યાન કેટલા પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યા. તેમણે એવુ પણ પૂછ્યું નહીં કે ભારતીય સેનાએ પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કરીને કેટલા વિમાનોનો નાશ કર્યો. ભારતના બોમ્બમારાથી પાકિસ્તાનના કયા એરબેઝને કેટલુ નુકસાન થયું હતું. અમિત માલવિયાએ કટાક્ષમાં પૂછ્યું, “રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે? શું તેમને પાકિસ્તાનનું નિશાન-એ-પાકિસ્તાન મળશે?”
રાહુલે સોમવારે ‘X’ પર પોસ્ટ કરી હતી કે, “શું વિદેશ મંત્રી જયશંકરનું મૌન બધું કહી રહ્યું નથી? આ ઘાતક છે. તો, હું ફરીથી પૂછીશ કે ભારતે કેટલા વિમાન ગુમાવ્યા? કારણ કે પાકિસ્તાનને અગાઉથી ખબર હતી.” તેમણે આરોપ લગાવ્યો, કે આ કોઈ ભૂલ નહોતી પણ આ એક ગુનો છે. રાહુલે એમ પણ કહ્યું કે દેશને સત્ય જાણવાનો અધિકાર છે.
કોંગ્રેસે ભાજપને સિંદૂરનો વેપારી ગણાવ્યો
કોંગ્રેસના મીડિયા સેલના વડા પવન ખેરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ વિદેશ મંત્રીના નિવેદન પર કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશોમાં એક વાતનું પુનરાવર્તન કરતા રહ્યા કે તેમણે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી કરી હતી. તેમણે કહ્યું, “ટ્રમ્પે ભારતને વેપાર બંધ કરવાની ધમકી આપી અને પછી યુદ્ધ બંધ થઈ ગયુ.” એનો અર્થ એ થયો કે સિંદૂરનો વેપાર ચાલુ રહ્યો અને વડાપ્રધાન ચૂપ રહ્યા. વિદેશ મંત્રીના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી રહ્યો નથી.
ભાજપનો કોંગ્રેસ પર વળતો પ્રહાર
તે જ સમયે, ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે તેઓ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું, “રાહુલ ગાંધીની મૂર્ખતા ફક્ત આકસ્મિક નથી, પરંતુ તે ભયાનક પણ છે. રાહુલ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.” ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈના નિવેદનનો વીડિયો શેર કરતા તેમણે કહ્યું કે તેઓ ભારતના હિત માટે અને વિપક્ષી નેતાના ઇરાદાઓને ઉજાગર કરવા માટે ઘાઈના 11 મેના નિવેદનને ફરીથી પોસ્ટ કરી રહ્યા છે.
વીડિયોમાં, DGMO રાજીવ ઘાઈએ કહ્યું, “અમે કાર્યવાહીની શરૂઆતમાં જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીશું. પાકિસ્તાને વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો અને બદલો લેવાની ધમકી આપી હતી. હવે આ નિવેદન એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે કે જાણે તેમને ઓપરેશન પહેલા બ્રીફ કરવામાં આવ્યું હોય. હકીકતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. અમે આનો વિરોધ કરીએ છીએ.