સંભલમાં મંદરિ પાસેના પ્રાચીન કૂવાનું ખોદકામ કરતા તેમાંથી માં પાવર્તી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી

sambhal

સંભલમાં મંદિર પાસેના કૂવામાંથી ખોદકામ કરતા 15થી 20 ફૂટમાં જ આ મૂર્તિઓ મળી આવી હતી. મૂર્તિઓ મળતાની સાથે જ પ્રશાસન હરકતમાં આવ્યું અને આખા વિસ્તારને કોર્ડન કરીને ખોદકામ રોકી દેવામાં આવ્યું.

ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટીતંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. વહીવટીતંત્રએ આ મંદિરની સાફસફાઈ કરાવી અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિઓ અને મંત્રો-જાપ સાથે પૂજા-આરતી કરવામાં આવી હતી. હવે વહીવટીતંત્રને કૂવાનું ખોદકામ કરતાં 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ ભગવાન ગણેશ, કાર્તિકેય અને માતા પાર્વતીની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કૂવામાંથી મૂર્તિઓ મળી આવતા સ્થાનિક હિંદુ ભક્તોમાં કુતૂહલ સર્જાયું છે.

ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીએ જણાવ્યું કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. હાલમાં કૂવાનું ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કૂવો ઢાંકી દેવામાં આવ્યો છે. ખોદકામ દરમિયાન માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓની કાર્બન ડેટિંગ કરાવવામાં આવશે. એક મૂર્તિ આરસની છે જે કાર્તિકેયજીની લાગી રહી છે. 2 મૂર્તિઓ ખંડિત છે.

સંભલના મંદિર પાસેના કૂવામાંથી ખોદકામ કરતા 15થી 20 ફૂટમાં જ આ મૂર્તિઓ મળી આવી હતી. મૂર્તિઓ મળતાની સાથે જ પ્રશાસન હરકતમાં આવ્યું અને આખા વિસ્તારને કોર્ડન કરીને ખોદકામ રોકી દેવામાં આવ્યું. જેથી કરીને આગળ સુરક્ષિત રીતે વધારાનું ખોદકામ કરી શકાય. આ મામલે ASP શ્રીશચંદે જણાવ્યું હતું કે હાલ આ મૂર્તિઓને સુરક્ષિત રીતે રીકવર કરી દેવામાં આવી છે અને તેને તપાસ અર્થે મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “જે મૂર્તિઓ મળી આવી છે તેમાં ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને માતા પાર્વતી એમ ત્રણ મૂર્તિઓ મળી છે. આ મૂર્તિઓ કેટલી જૂની છે તે હમણાં નહીં જણાવી શકાય, પરંતુ તેને તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે.” અધિકારીના જણાવ્યા અનુસાર અહીં કૂવામાં આગળ પણ ખોદકામ કરવામાં આવશે. બીજી તરફ મૂર્તિઓ મળી આવતા ભક્તોમાં આનંદની લહેર છે અને મંદિરમાં ભજન-કીર્તન કરવામાં આવી રહ્યા છે.

82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, આ પ્રાચીન મંદિર 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર છે. 1978 પહેલા મારા પરિવારના લગભગ 40થી 42 લોકો અહીં રહેતા હતા. આ આખી શેરીમાં મારો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કૂવામાંથી પાણી લઈને મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.

1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારબાદ 40થી 42 રસ્તોગી પરિવારો આ સ્થાન છોડીને ચાલ્યા ગયા. મંદિર પણ જેમ હતું તેમ છોડી દીધું. ત્યારબાદ ત્યાં મુસ્લિમ વસ્તી આવીને સ્થાયી થઈ ગઈ. તેમના ઘરોને પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદી લીધા હતા. મંદિરની પાછળ જ 4 ફૂટનો પરિક્રમા માર્ગ હતો, ત્યાં એક ઘર બનાવી દેવામાં આવ્યું છે. મંદિર પર પણ માટી નાખીને પૂરી દેવાયું છે અને તેની ઉપર પાર્કિંગની જગ્યા બનાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જયારે પ્રશાસને બંધ પડેલા મંદિરના કપાટ ખોલ્યા ત્યારે તેમાં શિવલિંગ, નંદી મહારાજ અને ભગવાન હનુમાનજીની મૂર્તિ જોવા મળી હતી. હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યાં પણ શિવાલયનું નિર્માણ કરવામાં આવે છે, ત્યાં શિવ પરિવારને સ્થાપિત કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. મંદિર ખોલવા પર ભગવાનના બાકીના પરિવારના કોઈ ચિહ્ન નહોતા મળ્યા, પરંતુ દબાણ કરીને બુરી દેવામાં આવેલા કૂવામાંથી મળી આવેલી મૂર્તિઓ શિવ પરિવારની છે. હવે આ મૂર્તિઓ ખંડિત હતી એટલે પધરાવી દેવામાં આવી હતી કે પછી કોઈએ જાણી જોઇને તેને કૂવામાં દાટી દીધી હતી તે તપાસનો વિષય છે.