જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હાલ તમામ વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. પહલગામના આતંકીઓને શોધવા માટે પોસ્ટર્સ પણ લગાવાયા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટર શરૂ કર્યુ હતુ. જેમાં આતંકીઓને સેનાએ ઘેરી લીધા હતા. સુરક્ષા દળોથી ઘેરાયેલા આતંકવાદીઓએ સેનાના જવાનોને જોતા જ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.
મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એનકાઉન્ટર સાંજે 4:30 વાગ્યે પૂરું થયું. તેનું નામ ઓપરેશન કિલર રાખવામાં આવ્યું. સુરક્ષા દળોને શુક્રુના જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. આ કારણે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું.
શોપિયાના શુક્રુ જંગલમાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી કાશ્મીરના હતા. જેમના નામ અદનાન શફી ડાર, શાહિદ અહેમદ કુટ્ટી અને આમિર અહેમદ ડાર હોવાનું જાણવા મળેલ છે. બધા આતંકવાદીઓ શોપિયાના રહેવાસી હતા. આતંકી શાહિદ કુટ્ટે શોપિયાંના ચોટિપોરા હીરપોરાનો રહેવાસી હતો. તે 08 માર્ચ, 2023ના રોજ લશ્કરમાં સામેલ થયો હતો. આતંકી અદનાન શફી શોપિયાના વંદુના મેલહોરાનો રહેવાસી હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણ કુલગામ જિલ્લાથી શરુ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કર્યો હતો. જોકે, બાદમાં સેનાની જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરુ થઈ હતી, જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓના મોત થયા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ યથાવત્ છે.