વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે, યુદ્ધવિરામ બાદ પ્રથમ સંબોધન

pmModi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. જેમાં તેઓ ‘ઓપરેશન સિંદૂર’ અને ત્યાર બાદની પરિસ્થિતિ વિશે માહિતી આપી શકે છે. તેમજ ભારતીય સેનાની બહાદૂરીને બિરદાવશે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ પીએમ મોદી પ્રથમ વખત સંબોધન કરશે.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ પ્રથમ વખત દેશને સંબોધિત કરવાના છે. પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ તારીખ 7 મેના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી હતી, જેમાં 100થી વધુ આતંકી માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ભારતના 15 સૈન્ય સ્થળો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતાં. તારીખ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હતો.

શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ પછી ત્રણેય સેનાના DGMO છેલ્લા ત્રણ દિવસથી પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા હતા. ભારત-પાકિસ્તાન સીઝફાયર બાદ આજે બપોરે ભારતીય સેનાની ત્રણેય પાંખના ડીજીએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. દેશના લશ્કરી અધિકારીઓએ ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ લશ્કરી કાર્યવાહી વિશે માહિતી શેર કરી. ભારતીય સેનાએ પાકિસ્તાની મિરાજનો કાટમાળ બતાવ્યો હતો.

ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તુર્કીયે ડ્રોન અને ચીનની મિસાઈલોને નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના અન્ય ડ્રોનને અમારા શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતાં. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામ લાગુ થયો, જોકે પાકિસ્તાને એને લાગુ કર્યાના માત્ર 3 કલાક પછી જ તોડી નાખ્યો. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબમાં 15 સ્થળે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.