Operation Sindoor: ભારતે લીધો પહેલગામ હુમલાનો બદલો, PAK અને PoKમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાને કહ્યું- ભારતે 24 મિસાઇલ હુમલા કર્યા
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા પછીનાં 15માં દિવસે ભારતની ત્રણેય સેનાઓએ મંગળવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધર્યું હતું. ભારતે પાકિસ્તાન અને તેના કબજા હેઠળના પીઓકેમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહી રાત્રે લગભગ 1:30 વાગ્યે કરવામાં આવી હતી. ભારતની ત્રણેય સેનાઓએ મળીને પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. એર સ્ટ્રાઈક પછી ભારતના તમામ સૈનિકો સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા.
ભારતે બહાવલપુરમાં મસૂદ અઝહરના ઠેકાણા સહિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પાકિસ્તાનના કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલોથી હુમલો કર્યો છે, જ્યારે ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે, અમારી કાર્યવાહી ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવી છે. કોઈ પાકિસ્તાની લશ્કરી છાવણીઓને નિશાન બનાવવામાં આવી નથી.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાંઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુરમાં તેની મદરેસા, જૈશનું હેડ ક્વાર્ટર સંપૂર્ણપણે તબાહ થયુ છે.
ભારતીય સેનાએ X પર લખ્યું ન્યાય થયો, જય હિંદ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ સહિત 9 વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારો લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ગઢ માનવામાં આવે છે.
પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા અને ISPRના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે 24 હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે 04:08 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ભારતે વિવિધ શસ્ત્રો વડે કુલ 24 હુમલા કર્યા છે. 8 આતંકવાદીઓ માર્યા ગયા છે.
ડીજી આઈએસપીઆરના જણાવ્યા અનુસાર, 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. બહાવલપુરના અહમદપુર પૂર્વમાં સુભાન મસ્જિદ પાસે ચાર હુમલા કરવામાં આવ્યા હતા. જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ જૈશ-એ-મોહમ્મદ અને તેના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો ગઢ છે.