ઉમર અબ્દુલ્લાએ વ્યક્ત કર્યું કાશ્મીરનું દર્દ, અમે લોકોને બોલાવ્યા પરંતુ પરત ન મોકલી શક્યા… માફી માટે પણ શબ્દો નથી…

omarAbdulla

સત્રની શરૂઆતમાં સભ્યોએ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું. કેન્દ્ર સરકારની કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની બેઠકમાં પાકિસ્તાન અંગે લેવામાં આવેલાં પગલાંને પણ વિધાનસભાએ સમર્થન આપ્યું

જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ લોકોને આજે સોમવારે વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિધાનસભામાં બોલતી વખતે, અબ્દુલ્લાએ કાશ્મીરનું દર્દ વ્યક્ત કર્યું. સીએમ ઓમર અબ્દુલ્લા પહેલગામ હુમલા પર ભાવુક થઈ ગયા અને કહ્યું કે આ હુમલામાં કોઈએ પોતાના પિતા ગુમાવ્યા, કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો. તે નેવી ઓફિસરની વિધવાને, તે નાના બાળકને, જેણે પોતાના પિતાને લોહીથી લથપથ જોયા હતા, હું શું જવાબ આપું? તેમણે કહ્યું કે મેં પ્રવાસીઓને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમને પાછા મોકલી શક્યો નહીં. તેમની સુરક્ષા માટે હું જવાબદાર હતો. મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી.

પહેલગામ આતંકવાદી હુમલા સામે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ગૃહમાં ઉભા થયા અને હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના નામ લીધા અને કહ્યું કે આ હુમલો કાશ્મીર પર નહીં પરંતુ દેશ પર છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, અરુણાચલથી ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને તેની વચ્ચેના બધા રાજ્યો, આખો દેશ આ હુમલાથી પ્રભાવિત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં આ પહેલો હુમલો નથી, પરંતુ 21 વર્ષ પછી અહીં આટલો મોટો હુમલો થયો છે.

ઓમરે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા એ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી, પરંતુ CM અને પર્યટનમંત્રી હોવાને કારણે મેં આ લોકોને જમ્મુ અને કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું હતું. તેમના યજમાન તરીકે, તેમની સંભાળ રાખવાની અને તેમનું રક્ષણ કરવાની જવાબદારી અમારી છે. થોડા દિવસ પહેલા જ લગ્ન કરનારા નૌકાદળના અધિકારીની વિધવાને હું શું કહું? તેમને સાંત્વના આપવા માટે મારી પાસે શબ્દો નથી. પીડિતોના પરિવારના ઘણા સભ્યોએ મને પૂછ્યું કે અમારો વાંક શું છે, અમે અહીં રજાઓ ઉજવવા આવ્યા હતા પણ હવે આ પહેલગામ હુમલાનું પરિણામ અમારે જીવનભર ભોગવવું પડશે. મારી પાસે કોઈ જવાબ નહોતો. પ્રવાસીઓની માફી માંગવા માટે મારી પાસે શબ્દો નથી. હું તે બાળકો અને પત્નીઓને સાંત્વના આપી શક્યો નહીં. આ હુમલાએ આપણને અંદરથી ખાલી કરી દીધા છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે 26 વર્ષમાં પહેલી વાર મેં લોકોને બહાર આવતા જોયા. ભાગ્યે જ કોઈ શહેર, કોઈ ગામ આના વિરોધમાં બહાર આવ્યું ન હોય. કોઈ કાશ્મીરી આની સાથે નથી. કઠુઆથી શ્રીનગર સુધીના લોકો બહાર આવ્યા અને ખુલ્લેઆમ કહ્યું કે કાશ્મીરીઓ આ હુમલાઓ ઇચ્છતા નથી. પહેલગામના 26 લોકોના દુ:ખને આ દેશની સંસદ કે અન્ય કોઈ વિધાનસભા એટલી સારી રીતે સમજી શકતી નથી જેટલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સમજી શકે છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ઓક્ટોબર 2001માં શ્રીનગર હુમલામાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલા માટે પહેલગામમાં માર્યા ગયેલા લોકોનું દુઃખ આ વિધાનસભા કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકે નહીં. તેમણે કહ્યું કે અમને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે. આ આતંકવાદી હુમલામાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, અમે તે પરિવારો સાથે ઉભા છીએ.

સીએમ અબ્દુલ્લાએ કહ્યું કે પહેલગામમાં જે લોકોએ આ હમલો કર્યો હતો, તેમણે કહ્યું કે આ આપણા કલ્યાણ માટે કરવામાં આવ્યું હતું, પરંતુ શું આ આપણી પરવાનગીથી થયું? આપણામાંથી કોઈ આની સાથે નથી. આ હુમલાએ અમને અંદરથી ખોખલા કરી દીધા. ભૂતકાળમાં આપણે કાશ્મીરી પંડિતો અને શીખ સમુદાયો પર આતંકવાદી હુમલા જોયા છે. આવો હુમલો ઘણા સમય પછી થયો છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકો પોતે વિરોધ કરવા માટે બહાર આવ્યા, બેનરો/પોસ્ટરો પ્રદર્શિત કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા. જો લોકો આપણી સાથે હોય, તો આપણે આતંકવાદને હરાવી શકીએ છીએ. આ તો શરૂઆત છે. આપણા તરફથી એવું કોઈ પગલું ન ભરવું જોઈએ, જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. આપણે બંદૂકો દ્વારા આતંકવાદને ખતમ કરી શકતા નથી, પરંતુ આપણે તેને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. આપણે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે આતંકવાદીઓને અલગ પાડી દે. લોકો સમજી ગયા છે કે આતંકવાદ સારો નથી. આપણે બંદૂકોની શક્તિથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ.

પહેલગામ હુમલા પર વિધાનસભામાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું આ પહેલું ભાષણ હતું. આ એક ખાસ વિધાનસભા સત્ર છે, જે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલાવવામાં આવ્યું હતું.

સત્રની શરૂઆતમાં સભ્યોએ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું. કેન્દ્ર સરકારની કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની બેઠકમાં પાકિસ્તાન અંગે લેવામાં આવેલાં પગલાંને પણ વિધાનસભાએ સમર્થન આપ્યું છે. એ જ સમયે પ્રવાસીઓને બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવનારા પોની ડ્રાઇવર સૈયદ આદિલ હુસૈન શાહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સીએમએ કહ્યું કે આદિલે પોતાના જીવની પરવા કર્યા વિના ઘણા પ્રવાસીઓને બચાવ્યા, ત્યાંથી ભાગવાને બદલે તેણે પ્રવાસીઓને બચાવવાનું નક્કી કર્યું અને તેણે પોતાના જીવનું બલિદાન આપ્યુ.