ગુજરાત બોર્ડનાં ધોરણ 10 અને 12નાં પરિણામ મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવવાની શક્યતા

gsebReslults

આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી પૂર્ણ થઈ છે. જેથી પરિણામ પણ વહેલાં આવવાની શક્યતા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતા છે.

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. જેના લીધે પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થવાથી ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓ જલદી પ્રવેશ મેળવી શકશે. બોર્ડ દ્વારા આયોજનપૂર્વક જ પરીક્ષા વહેલી લેવામાં આવી હતી.

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલાં પરિણામ આપવામાં આવ્યાં હતાં. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, જેથી આ વર્ષે પણ પરિણામ વહેલાં આવશે.

વર્ષ 2024માં ધોરણ 12નું સાયન્સ-કોમર્સનું પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું. જ્યારે ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર કરાયું હતું. આ વર્ષે પણ ધોરણ 10 અને 12નું પરિણામ મેના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ X પર ગુજરાતના બોર્ડનાં પરિણામને લઈને જે ટિપ્પણી કરી હતી એ મામલે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના હજારો શિક્ષકો દિવસ-રાત મહેનત કરે છે, જેના કારણે ગુજરાતનું પરિણામ સારું આવી રહ્યું છે. અખિલેશ યાદવ અને કેજરીવાલ ખોટું બોલીને પરિણામ અંગે વાહિયાત વાતો કરે છે. વિદ્યાર્થીઓનું માનસિક બળ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખોટી વાતોથી ગુજરાતની રાજકીય બદનામી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી જ્ઞાન, ગુરુ અને વિદ્યાનું અપમાન થયું છે. ભગવાન બંનેને સદબુદ્ધિ આપે.

નોંધનીય છે કે, સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર બે વર્ષ જૂના એક સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું કે, ‘ગુજરાત બોર્ડ રિઝલ્ટઃ 10મા ધોરણમાં 157 સ્કૂલમાં શૂન્ય વિદ્યાર્થીઓ પાસ’. જ્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પણ અખિલેશ યાદવની આ પોસ્ટને ફરી શેર કરતાં ગુજરાતના શિક્ષણ મોડેલને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા.