બોલિવુડનાં પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન, કોકિલાબેન હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

manojkumar

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મોને લઈને ‘ભારત કુમાર’ તરીકે પણ ફેમસ બન્યા હતા.

ભારતીય સિનેમાના અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહીત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે વિલે પાર્લે સ્થિત હિન્દુ સ્મશાન ભૂમિમાં 12 વાગ્યે કરવામાં આવશે.

મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા. તેમને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2016માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરી લખ્યું કે ‘સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રીમનોજ કુમારજીના નિધનથી ખૂબ દુઃખ થયું.’ તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા, ખાસ કરીને તેમને દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતું હતું. મનોજજીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી છે અને તે પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી
મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમાર જીના નિધનથી દુઃખી છું. તેમણે ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે. તેમના લાંબા અને પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન તેઓ તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા બન્યા જેણે ભારતના યોગદાન અને મૂલ્યોમાં ગર્વની ભાવનાને પ્રોત્સાહન આપ્યું. તેમણે જીવંત કરેલા રાષ્ટ્રીય નાયકો, ખેડૂતો અને સૈનિકોના પ્રતિષ્ઠિત પાત્રો આપણી સામૂહિક સ્મૃતિમાં અંકિત રહેશે. તેમનું સિનેમા રાષ્ટ્રીય ગૌરવ જગાડશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.

બોલિવુડ કલાકારો, ક્રિકેટરો તેમજ કરોડો ચાહકોએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી