૧૧૯ કિલોમીટર લાંબા રેલ્વે રૂટમાં કુલ ૩૮ ટનલ બનાવવામાં આવી છે જેમાંથી ટ્રેનો કાશ્મીર પહોંચશે.
જમ્મુ કાશ્મીર કે જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે તે જમ્મુ કાશ્મીરમાં થોડા વર્ષો પહેલા પથ્થરમારો થતો હતો અને હવે લોકો ડર વિના લોકો હરી ફરી શકે છે. લાલ ચોકમાં તિરંગો લહેરાવવામાં ડર લાગતો ત્યાં હવે ગર્વથી તિરંગો લહેરાઇ રહ્યો છે. અને હવે ટૂંક સમયમાં કાશ્મીરમાં વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. કાશ્મીરની વાદીઓમાં વંદે ભારત ટ્રેન દોડતી જોવા મળશે.
પીએમ મોદી ૧૯ એપ્રિલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
કાશ્મીર ફરવા જતા લોકો ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે, તે જમ્મુથી કાશ્મીર સુધી દોડનારી વંદે ભારત ટ્રેન આ મહિનાથી શરૂ થવા જઈ રહી છે. પીએમ મોદી ૧૯ એપ્રિલે જમ્મુના કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ પણ બનાવવામાં આવી રહ્યો છે
આ વંદે ભારત ટ્રેનથી મુસાફરો ફક્ત ત્રણ કલાકમાં કાશ્મીર ખીણ પહોંચી શકશે, જ્યારે પહેલા તેમાં સાતથી આઠ કલાક લાગતા હતા. આ વંદે ભારત ટ્રેન ઊંચા પર્વતોમાંથી પસાર થશે. આ એક ચેર કાર હશે. તે તાજેતરમાં પૂર્ણ થયેલા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પર ચાલશે જે કાશ્મીર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ પર, રિયાસી સેક્ટરમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ પણ બનાવવામાં આવી રહ્યો છે.
કટરાથી શરૂ થશે અને શ્રીનગર પહોંચશે
આઠ કોચવાળી આ વંદે ભારત ટ્રેન ૧૯ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. તે શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શરૂ થશે અને શ્રીનગર પહોંચશે. તેમાં ઘણી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. અત્યંત ઠંડા તાપમાનમાંથી પસાર થવાને કારણે, ટ્રેનમાં પાણી ગરમ રાખવાની સુવિધાઓ પણ આપવામાં આવી છે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ટ્રેન વિશે માહિતી આપતા રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તે ફક્ત કટરાથી જ ચલાવવામાં આવશે કારણ કે જમ્મુ રેલ્વે સ્ટેશન પર સમારકામ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. એકવાર તે તૈયાર થઈ જાય પછી તેનું સંચાલન જમ્મુથી કરવામાં આવશે.
પીએમ મોદી મોદી 19 એપ્રિલે ઉધમપુર પહોંચશે, તેઓ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે
આ અંગે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પીએમ મોદી મોદી 19 એપ્રિલે ઉધમપુર પહોંચશે. તેઓ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. પીએમ મોદી લીલી ઝંડી આપતાની સાથે જ કાશ્મીરના લોકોની સીધી રેલ સુવિધાની લાંબા સમયથી ચાલી આવતી માંગ પણ પૂર્ણ થશે. હાલમાં કાશ્મીર ખીણમાં ફક્ત સાંગલદાન અને બારામુલ્લા વચ્ચે અને કટરાથી દેશના બાકીના ભાગોમાં ટ્રેનો ચાલે છે.
૧૧૯ કિલોમીટર લાંબા રેલ્વે રૂટમાં કુલ ૩૮ ટનલ
વંદે ભારત દ્વારા કાશ્મીર જતા મુસાફરોને ત્રણથી ચાર કલાકની બચત થશે. એટલું જ નહી વંદે ભારત જેવી આધુનિક રેલ સેવાઓ શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે. USBRL પ્રોજેક્ટ ત્રણ દાયકા પહેલા 1997માં શરૂ થયો હતો અને ગયા મહિને જ પૂર્ણ થયો હતો. ૧૧૯ કિલોમીટર લાંબા રેલ્વે રૂટમાં કુલ ૩૮ ટનલ બનાવવામાં આવી છે જેમાં સૌથી લાંબી ટનલ T-49 છે જે12.75 કિમી લાંબી છે. તે દેશની સૌથી લાંબી પરિવહન ટનલ પણ છે.
આ પ્રોજેક્ટમાં કુલ 13 કિલોમીટર લંબાઈવાળા 927 પુલનો સમાવેશ
આ પ્રોજેક્ટમાં કુલ 13 કિલોમીટર લંબાઈવાળા 927 પુલનો પણ સમાવેશ થાય છે. આમાં પ્રતિષ્ઠિત ચેનાબ પુલનો સમાવેશ થાય છે, જેની કુલ લંબાઈ 1315 મીટર છે. તેનો કમાન વિસ્તાર 467 મીટર છે અને તે નદીના પટથી 359 મીટર ઉપર છે. એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો હોવાથી, તે વિશ્વનો સૌથી ઊંચો કમાનવાળો રેલ્વે પુલ હશે.