અનંત અંબાણીએ મરઘીની કિંમત કરતા ડબલ રૂપિયા આપીને તેમનો જીવ બચાવ્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે. આ પાંચ દિવસમાં તેમણે 50 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દ્વારકાધીશને યાદ કરો તો કોઇપણ કાર્ય અવરોધ વિના પૂર્ણ થશે. દ્વારકાવાળો બધાનું ભલું કરશે અને મારું પણ ભલું એ જ કરવાનો છે. અનંત અંબાણી 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.
દ્વારકા સુધીની પદયાત્રાના પાંચમા દિવસે અનંત અંબાણીનો જીવદયા પ્રેમ ફરી એક વખત જોવા મળ્યો હતો. તેઓ પદયાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા પરથી એક મરઘીઓ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી, જેના પર અનંત અંબાણીનું ધ્યાન પડતાં તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી. ત્યાર બાદ ગાડીના માલિક અને ડ્રાઇવર સાથે વાત કરીને 250 જેટલાં પક્ષીઓને કતલખાને જતાં બચાવ્યાં હતાં.
અનંત અંબાણીએ ગાડીના માલિક અને ડ્રાઇવ સાથે વાત કરીને પક્ષીઓની રકમના જેટલા રૂપિયા થતા હતા તેનાથી બમણા રૂપિયા આપીને પક્ષીઓને છોડાવ્યા હતા, અને તેમને કુદરતી વાતાવરણમાં છૂટા મૂકી દીધા હતા. આમ પક્ષીઓને આઝાદ કરી તેમના જીવ બચાવ્યા હતા. ત્યાર બાદ તેઓએ એક મરઘીને હાથમાં રાખીને જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા યાત્રા ચાલુ કરી હતી.
અનંત સાહેબે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
મરઘીઓ લઇને જતા ઓસ્માને જણાવ્યું હતું કે અમે મરઘીઓ કટિંગમાં લઇને જતા હતા ત્યારે અનંત અંબાણીના સ્ટાફે અમને અટકાવ્યા અને 250 જેટલાં પક્ષીના બમણા રૂપિયા આપીને એમને મુક્ત કરાવ્યાં છે. જ્યારે મરઘીની ગાડીના અન્ય રયમ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે સાહેબ પગપાળા જતા હતા ત્યારે તેમણે અમારી ગાડી જોઇ તો તરત તેમના સ્ટાફે અમારી અટકાવીને પૂછપરછ બાદ બમણા રૂપિયા આપીને પક્ષીઓને મુક્ત કરાવ્યાં. અનંત સાહેબે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ દરમિયાન અનંત અંબાણીએ મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ પદયાત્રા જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધીની છે. છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે અને અમે બીજા થોડા દિવસમાં દ્વારકા પહોંચી જઈશું. મારી પદયાત્રા ચાલુ છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે.
Z પ્લસ સિક્યુરિટી સાથેની અનંત અંબાણી પદયાત્રામાં એમની સાથે મિત્રો અને બ્રાહ્મણો જોડાયા છે. યાત્રા દરમિયાન ભગવાન દ્વારકાધીશના જયઘોષ અને હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર સહિત ભજનોની રમઝટ બોલતી હોય છે. ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા દરમ્યાન રોજ અંદાજિત 10 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તેઓ મોડી રાત્રે 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે. આ સમય દરમ્યાન તેઓ સતત ચાલ્યા જ કરે છે, વચ્ચે કોઇ આરામ કરતા નથી. પગપાળા યાત્રા દરમ્યાન અનંત અંબાણી સામાન્ય માણસની જેમ લોકોને મળે છે. બાળકો તેમજ અન્ય લોકોને નાસ્તો અને ચોકલેટ આપે છે. તેમજ વડીલો તેમને આશીર્વાદ આપતા હોય એવાં દૃશ્યો જોવા મળે છે.
અનંત અંબાણી વન્યજીવન સંરક્ષણ માટે પણ સમર્પિત છે. તેમના પ્રોજેક્ટ “વંતારા” દ્વારા અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ પ્રાણીઓને બચાવવામાં આવ્યા છે, જેમાં 2000 થી વધુ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે તેમને પ્રાણી કલ્યાણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ “પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કર્યા છે.
અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ “વનતારા”
અનંત અંબાણીએ જામનગરથી 30 કિલોમીટર દૂર વનતારા નામનું પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે. વનતારા લગભગ 3000 એકરમાં ફેલાયેલું છે. 2 હજારથી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધારે બચાવવામાં આવેલ, લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પશુ-પંખીઓનું ઘર છે. વનતારાનો લગભગ 998 એકર વિસ્તાર હાથીઓના રહેવા માટે જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે. જે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. બાકીના વિસ્તારમાં ગ્રીન્સ ઝૂલોજિકલ, રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર આવેલાં છે, જે 568 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે અને તેમાં ભારત અને દુનિયાના અન્ય દેશોમાં જોવા મળતાં પશુપક્ષીઓને રાખવાની સુવિધા છે. માણસો સાથે સંઘર્ષને કારણે પકડી લેવાયેલા દીપડા રાખવા માટેનું અલગ રેસ્ક્યૂ સેન્ટર પણ વનતારામાં આવેલું છે, જે પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. વનતારા એ ભારતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયોમાંથી એક છે, પરંતુ તે પરંપરાગત પ્રાણીસંગ્રહાલય નથી.