2029માં પણ દેશ મોદીને PM તરીકે જોશેઃ મોદીના ઉત્તરાધિકારી અંગે સંજય રાઉતનાં નિવેદન પર ફડણવીસનો જવાબ

fadanvis-raut

ફડણવીસે કહ્યું, ‘આપણી સંસ્કૃતિમાં જ્યારે પિતા જીવિત હોય છે, ત્યારે ઉત્તરાધિકાર વિશે વાત કરવી અયોગ્ય માનવામાં આવે છે.’ તેઓ જેની વાત કરી રહ્યા છે તે મુઘલ સંસ્કૃતિ છે. તેની ચર્ચા કરવાનો હજુ સમય આવ્યો નથી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદી પર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી 2029 માં ચોથી વખત વડા પ્રધાન બનશે. પીએમ મોદી આવનારા ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે ઉંમર લઈને પાર્ટીના અઘોષિત નિયમ મુજબ પીએમએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. રાઉત ભાજપમાં 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 75 વર્ષના થશે.

સંજય રાઉતે દાવો કર્યો હતો કે મોદી રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને સંદેશ આપવા માટે નાગપુર ગયા હતા કે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. રાઉતે કહ્યું કે RSS દેશના રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. રાઉતના આ દાવા પર ફડણવીસે પત્રકારોને કહ્યું, ‘આગામી ચૂંટણી (2029)માં પણ અમે મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે જોશું.’

રાઉતે દાવો કર્યો હતો કે મોદીના ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી આવશે. આ અંગે ફડણવીસે કહ્યું, ‘આપણી સંસ્કૃતિમાં જ્યારે પિતા જીવિત હોય છે, ત્યારે ઉત્તરાધિકાર વિશે વાત કરવી અયોગ્ય માનવામાં આવે છે.’ તેઓ જેની વાત કરી રહ્યા છે તે મુઘલ સંસ્કૃતિ છે. તેની ચર્ચા કરવાનો હજુ સમય આવ્યો નથી. તો બીજી તરફ RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ રાઉતના નિવેદનને ફગાવી દીધું હતું.

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોશીએ કહ્યું કે તેમને (PM) ના સ્થાનાંતરણ અંગે કોઈ ચર્ચાની જાણ નથી. તમને જણાવી દઈએ કે રવિવારે પીએમ મોદી ૧૧ વર્ષ સુધી પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે સંઘને ભારતની અમર સંસ્કૃતિના વડવૃક્ષ તરીકે વર્ણવ્યું.