કોંગ્રેસ નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. આગામી 8 અને 9મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવવાનું છે, આ પહેલા સમીક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યાં છે. 7 અને 8 માર્ચ સુધી 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે.
આવતી કાલે 7 તારીખે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચશે. જ્યા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં રાહુલ ગાંધી કોંગ્રેસના તમામ સિનિયર લીડર, આગેવાન, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદ, પૂર્વ સાંસદ સહિત તમામને વન ટુ વન મળશે. તેમની સાથે બેઠક કરશે અને મૃત:પાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરશે.
માહીતિ અનુસાર રાહુલ ગાંધી 2 દિવસની મુલાકાત દરમિયાન આશ્રમ રોડ ખાતેની હયાત હોટલમાં રોકાશે. બપોરે લંચ માટે હયાત હોટલમાં જશે. રાહુલ ગાંધીનો સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધીનો સત્તાવાર કાર્યક્રમ છે. સાંજે 7 બાદ તેઓ અમદાવાદમાં કોઈ સ્થળે સરપ્રાઈઝ મુલાકાત માટે જઈ શકે છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને માહિતી છે કે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર તેમની અધ્યક્ષતામાં બેઠક મળશે. કોંગ્રેસ ભવનમાં સવારે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ અલગ બેઠક મળશે. પ્રથમ બેઠક કોન્ફરન્સ હોલમાં મળશે. જેમાં 10થી વધુ હોદ્દેદારો હાજર રહેશે. ત્યારબાદ બીજા માળે પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળશે. જેમાં 25થી વધુ લોકો હાજર રહેશે. ત્યારબાદ જિલ્લા તથા શહેર પ્રમુખ સાથે મિટિંગ કરશે જેમાં 50થી વધુ લોકો હાજર રહેશે. ત્યારબાદ ચોથા માળે તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક થશે. જેમાં 300થી વધુ લોકો હાજર રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરવામાં આવશે.
આ પ્રથમ વખત હશે જ્યારે તાલુકા અને વોર્ડના આગેવાન સાથે કોઈ રાષ્ટ્રીય નેતા મુલાકાત કરશે. લોકોના પ્રશ્નો જાણીને લોકો સુધી સાચી વાત પહોચાડવાનો પ્રયાસ કરાશે. આ મુલાકાત દરમિયાન આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
મહત્વનું છે કે તારીખ 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન મળશે. આના પહેલાં વર્ષ 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. એટલે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યુ છે.
આ અધિવેશન માટે સ્થળ પસંદગી કરવા કોંગ્રેસના કાર્યકારી સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ ગુજરાત આવ્યા હતા. તેમણે કોંગ્રેસના અધિવેશન માટે રિવરફ્રન્ટ, કલબ ઓ સેવન, શાહીબાગનું સરદાર સ્મારક અને અન્ય એક સ્થળની મુલાકાત લીધી હતી. જો કે ટ્રાફિકની સુગમતા અને કોંગ્રેસ કાર્યાલય નજીક હોવાથી રિવરફ્રન્ટને અધિવેશનના સ્થળ તરીકે ફાઈનલ કરાયું છે. આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત આવશે.
કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાત પર કબજો કરી શકી નથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા છતાં દર ચૂંટણીમાં એ સફળ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, એમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસે મિશન-2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે.