આયોજકે લગ્ન માટે દરેક યુગલો પાસેથી 15 થી 40 હજાર જેટલા રૂપિયા ઉઘરાવ્યા હતા.
રાજકોટમાં માધાપર ચોકડી પર ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ ગયા હતા. તેમજ લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા પણ કરી ન હોવાથી લગ્ન કરવા આવેલા 28 યુગલો અને તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
આ દરમિયાન પરિવારજનોએ હોબાળો મચાવતાં ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન કન્યા અને વરે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ પછી રાજકોટ પોલીસે જવાબદારી લઈને તેમજ માનવતાવાદી વલણ અપનાવી 28 યુગલોના લગ્ન કરાવ્યા હતા. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસની સાથે કેટલાક સામાજિક આગેવાનોએ તેમજ સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવી ભોજન તેમજ નવવધૂને આપવા માટે કરિયાવરની વ્યવસ્થા કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતિય દીકરીનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે પરિવારો પાસેથી રૂ. 15 થી 40,000 રુપયા ઊઘરાવ્યા હતા. લગ્નના દિવસે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા. પરંતુ લગ્નસ્થળે કોઈ પણ આયોજકો હાજર હતા નહીં. તેમજ કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી હતી. આ દરમિયાન લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રાજકોટનાં એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસકાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને લગ્નવિધિ શરૂ કરાવી હતી. એસીપી રાધિકા ભારાઈએ કહ્યું હતું કે આયોજકો સામે ગુનો નોંધવામાં આવશે. ફરાર આયોજકો પૈકી એક ચંદ્રેશ છત્રોલાએ વોટ્સઅપ સ્ટેટસમાં પોતે બિમાર હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટશ મૂક્યું હતું. જ્યારે તપાસમાં જાણવા મળ્યુ હતું કે તે સમુહલગ્નનાં એક દિવસ પહેલા એટલે કે ગઈ કાલ તારીખ 21 ફેબ્રુઆરીનાં રોજ બપોરે ત્રણ વાગે હોસ્પિટલ ગયા હતા અને રાત્રે 9.30 વાગે હોસ્પિટલમાંથી રજા લઈ જતા રહ્યા હતા.
આ ઘટના અંગે એક વરરાજાએ જણાવ્યું હતું કે, અમે ધોરાજીથી અહીં પરણવા આવ્યા છીએ. અમારી સાથે છેતરપિંડી થઈ છે. લગ્ન માટે અમે છેલ્લા 15 દિવસથી તૈયારી કરતા હતા. અહીંના આયોજકો હું બીમાર છું એવા ખોટા સ્ટેટસ મૂકે છે. અમને 22 તારીખે લગ્નનું કહ્યું હતું અને આજે સવારે 6.30 વાગ્યાનું મૂહુર્ત આપ્યું હતું.
એક કન્યાનાં પરિવારજને જણાવ્યું હતું કે, લગ્ન માટે બધા પાસેથી આયોજકોએ 15-15 હજાર રૂપિયા લઈ લીધા છે. લગ્ન કરવાની સાથે જ મસમોટો કરિયાવર આપવાની વાતો કરી હતી. અમે અહીં 6.30 વાગ્યે આવી ગયા હતા. આયોજકો દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી જ નહોતી. માત્ર તારીખ અને મંડપ નંબર આપેલું છે. હવે અમારે કરવાનું શું? આયોજકો પૈકી કોઈપણ નહીં હોવાથી જાનો પાછી ગઈ હતી. લગ્ન કરાવવા આવેલા બ્રાહ્મણો પણ પાછા ચાલ્યા ગયા છે. આ અંગે આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તમામ દીકરીઓનાં લગ્ન કરીને કરિયાવર આપવામાં આવે એવી અમારી માગ છે.
રાજકોટથી આવેલા એક વડીલે જણાવ્યું હતું કે સમૂહલગ્નના નામે આવું ન કરવું જોઈએ. કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરાઈ નથી. આયોજકો ફરાર થઇ ચૂક્યા છે. અમારી પાસેથી 40 હજાર રૂપિયા લીધા હતા, પરંતુ અત્યારે લોકોની જાન લીલા તોરણ સાથે પાછી ફરવા મજબૂર બની છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. મેં દીકરાના લગ્ન માટે વ્યાજે રૂપિયા લઈને આ લોકોને 40 હજાર રૂપિયા આપ્યા હતા, પણ આયોજકો ફરાર થઈ ગયા છે.
તો અન્ય એક કન્યાએ જણાવ્યું હતું કે, અહીં સમૂહ લગ્નનું કહ્યું પણ કંઈ છે નહીં. આયોજકોના કોન્ટેક્ટ નંબર પણ લાગતા નથી અને બધા ફરાર છે. અમારી માંગ છે કે, પૈસા જોતા નથી અમારા લગ્ન કરાવી આપો.
વધુ એક કન્યાએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ સમૂહ લગ્નમાં અમને કોઈ જવાબ આપતું નથી. મારા માતા-પિતા વ્યાજે રૂપિયા લઈને મારા લગ્ન કરાવી રહ્યાં છે. કોઈ બીજાના પૈસે કન્યાાદાન થઈ રહ્યું છે. આના માટે મારે વ્યવસ્થા તો કરવાની ને.
અન્ય એક યુવક દ્વારા જાણવા મળ્યુ હતું કે, આજ આયોજકે દોઢ વર્ષ પહેલા અહીં જ આયોજન હતું. અમે ફોર્મ ભર્યું હતું. આ લોકોએ 11-11 હજાર ફી ભરાવી હતી. દુબઈવાળા દાતા આવી ન શકતા કેન્સલ કરાવ્યું હતું. ઘરઆંગણે મેરેજ કરાવવાનું કહી કરિયાવાર પહોંચાડવાનું કહ્યું હતું પણ દોઢ વર્ષ થયા મળ્યો નથી. ત્યારે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.