આજથી જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, 22થી 26 ફેબ્રુઆરી સુધી યોજાનાર મેળો પ્લાસ્ટિક મુક્ત બનાવવા સંતોનું આહવાન

junagadh-shivratriMela2

ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું ગિરનાર, સાધુ-સંતો અને ભાવિકો ઉમટ્યાં

જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. તારીખ 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢના ભવનાથમાં મેળો યોજાશે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરીને મેળાની શરુઆત કરાઈ છે. મહાશિવરાત્રિ મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, જગતગુરુ મહેન્દ્રાનંદગિરિ મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ, બુદ્ધગિરિ મહારાજ તેમજ જૂનાગઢ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભવનાથના સાધુ-સંતોની હાજરીમાં વિધિવત્ રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળા અંગેનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. જે અંતર્ગત ભવનાથમાં મેળા પૂર્વેના માહોલની ચહલ પહલ જોવા મળી રહી છે. જેમાં અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. અન્નક્ષેત્રોમાં સ્વયંસેવકો મીઠાઈ-ફરસાણ સહિતની રસોઈ બનાવવામાં લાગી ગયા છે. અહીં અનેક સાધુ સંતો પોતાના ધુણાના સ્થળ પર પહોંચી ગયા છે. જયારે હજુ પણ સાધુ સંતો આવી રહ્યા છે. વાહન સહિતના પાસ મેળવવા ધસારો થયો છે. મેળામાં લાખોની સંખ્યામાં આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં ભીડ બેકાબુ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે.

ભવનાથમાં રોડ રસ્તા સહીતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું જણાવ્યું હતું. મેળા દરમિયાન બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. 1 હજારથી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મૃગી કુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે. દૂધ અને છાસ સહીત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાઈ તેની કાળજી પણ રખાશે. આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાઈ છે. છતા પાણીની સુવિધા સહીતની કોઈ બાબતમાં તંત્રને જરૂર પડશે ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે.

રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટૅક્નોલૉજી અપનાવી છે. જેમાં Park easy ચેટબોટનો ઉપયોગ કરાયો છે. શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને નજીકમાં પાર્કિંગની સુવિધા મેળવી શકશે. જેમાં QR કોડ સ્કેન કરતાં, WhatsApp ચેટબોટ ખૂલશે અને તેમાં શ્રદ્ધાળુઓએ ‘Hi’ મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તેમને જવાબમાં પોતાના જે-તે જિલ્લાની પસંદગી કરવાનું જણાવવામાં આવશે અને તે ક્લિક કરતાં જે-તે જગ્યાએ પાર્કિંગ માટેનું ઓટોમેટિક ગુગલ મેપનું લોકેશન પ્રોવાઇડ કરવામાં આવશે. જેના થકી શ્રદ્ધાળુઓ આપેલા લોકેશન પર પોતાનું વાહન પાર્કિંગ કરી શકશે. જ્યારે મેળામાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ આવવાના છે, ત્યારે ભીડમાં કોઈ વ્યક્તિ પરિવારથી વિખૂટા પડી જાય તો પરિવારને શોધવા માટે 10 PRO સિસ્ટમ પણ ગોઠવી દેવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાને લઇ અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગિરિ બાપુએ જણાવેલ કે આ વખતે આપડે સૌ મળી પ્રયાસ કરીયે કે ‘મેળો પ્લાસ્ટિક મુક્ત બને’. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ કોઈ મનોરંજનનો મેળો નથી પરંતુ આ અધ્યાત્મનો મેળો છે. મહાદેવ ગિરિ બાપુએ કહેલ આ જીવ અને શિવના મિલનનો મેળો છે. મહત્વનું છે કે મહાશિવ રાત્રીના રાતના સમયે નીકળતી શાહી રવેડીમાં સવાર નાગા સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે. આ રવેડીમાં મુખ્યત્વે શ્રી પંચનામ દશ નામ જૂના અખાડા, શ્રી પંચનામ દશ નામ આહવાહન અખાડા અને શ્રી પંચનામ અગ્નિ અખાડાના સાધુ સંતો મુખ્યત્વે જોડાતા હોય છે. મહાશિવ રાત્રીના મેળા દરમિયાન ભવનાથ પંથક શિવમય માહોલમાં રંગાઈ જતું હોય છે.

આગામી 4 દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ-સંતો અને લાખો ભાવિકો ઊમટી મહાદેવના મેળાની મોજ માણશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે. શિવરાત્રિના દિવસે મધ્યરાત્રી નાગા સંન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે.