લોકોએ હવે ક્રીમીલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિ. માટે તાલુકા-જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા પડશે નહીં
ગુજરાત સરકારે હવે ગ્રામજનો માટે એવી વ્યવસ્થા કરી છે કે ગામના લોકોને હવે કોઈ પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા-જીલ્લા કક્ષાની ઓફીસોમાં ધક્કા ખાવા નહીં પડે. અત્યાર સુધી ગ્રામ પંચાયતોમાંથી અલગ અલગ 10 જેટલાં પ્રમાણપત્ર મેળવી શકાતા હતા. પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા ગ્રામજનોને 10 નાં બદલે 67 જેટલાં સર્ટિફિકેટ ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઇ-ગ્રામ સેવા મારફત વીસીઇ દ્વારા જ 10ને બદલે હવે 67 જેટલાં મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગનાં પ્રમાણપત્રો મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતમાંથી પ્રમાણપત્ર મેળવવા માટે નાગરિકોએ ઇ-ગ્રામપંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકાકક્ષાના અધિકારીઓને સબ્મિટ થશે અને ત્યારબાદ તેમની સહી થઇને પરત આવતાં નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે. આમ હવે, ગ્રામ્ય સ્તરે 67 પ્રકારના પ્રમાણપત્રો જારી થયા પછી, નાગરિકોને તાલુકા પંચાયતમાં જવાની જરૂર રહેશે નહીં.
ગ્રામ પંચાયતોમાંથી સહેલાઇથી આવકના દાખલા સહિતનાં પ્રમાણપત્રો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઇ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં દરેક પ્રમાણપત્રદીઠ વીસીઇને કમિશન આપવામાં આવે છે અને એના બદલામાં તેઓ ગ્રામજનોને સર્ટિફિકેટ કાઢી આપે છે.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસન્ટ (એઆઇ)નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે એ માટેની યોજના બનાવી છે. આ સુવિધાઓ હવે ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ થશે.
સરકારે હવે મહેસૂલ વિભાગની 54 અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 13 મળીને કુલ 67 સેવા ગ્રામપંચાયતમાંથી આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સાત-બારનો દાખલો,ગામનો નમૂનો, આવકનો દાખલો, રેશનિંગ કાર્ડ, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટિઝનનું પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રમાણપત્ર સહિતનાં પ્રમાણપત્રો ગ્રામપંચાયતમાંથી કાઢી આપવામાં આવતાં હતાં.
હવે મહેસૂલ વિભાગના વારસાઇ, સોલ્વન્સી,અધિનિવાસી,દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ-સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યૂ કરવો, લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત(બિનખેતી), રાહતદરે ફાળવેલા પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામફેર કરવા,એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના 54 પ્રકારનાં પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે, સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર, નો-ક્રીમીલેયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાતવર્ગનું જાતિ અંગેનું નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર(ભારત સરકારનું), જ્ઞાતિનો દાખલો, ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર, ભારત સરકારનો જ્ઞાતિ(એસસી)નો દાખલો આપવો, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, અંત્યેષ્ઠિ સહાયનાં પ્રમાણપત્રો ગ્રામપંચાયતમાંથી મળશે.