ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 જવાનોનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના અગિયાર પોલીસ અધિકારી-કર્મચારીઓને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ દ્રારા સન્માનિત કરવામાં આવશે.
આવતીકાલે 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનથી ફરજ માર્ગ સુધી અનેક રાજ્યોની સુંદર ટેબ્લો જોવા મળશે. ત્યારે હવે પ્રજાસત્તાક દિવસ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી એનાયત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 95 સૈનિકોને શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, 101 સૈનિકોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે અને 746 સૈનિકોને શ્રેષ્ઠ સેવા માટે વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મોટાભાગના વીરતા પુરસ્કારો જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ્સ અને નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને સુધાર સેવાઓમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. વીરતા પુરસ્કાર વિજેતાઓમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં તૈનાત 28 જવાનો, જમ્મુ કાશ્મીરમાં તૈનાત 28, પૂર્વોત્તરમાં 3 અને અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 36 જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવશે.
અનેક સૈનિકોને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ એનાયત કરવામાં આવશે. તે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તરીકે ઓળખાય છે. આ એવોર્ડ મેળવનારાઓની યાદીમાં 101 PAC, 85 પોલીસ કર્મચારીઓ, 5 અગ્નિશામક સેવા કર્મચારીઓ , 7 નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડ સેવા અને 4 સુધાર સેવા કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવશે.

પોલીસ સેવાને કુલ 634, ફાયર સર્વિસને 37, સિવિલ ડિફેન્સ-હોમગાર્ડને 39 અને કરેક્શનલ સર્વિસને 36 એવોર્ડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ મેડલ અને પદક પુરસ્કારથી સન્માનિત જવાનોને 6 હજાર પ્રતિ મહિના આપવામાં આવે છે.
વીરતા પુરસ્કાર મેળવનાર સૈનિકોના નામોમાં છત્તીસગઢના 11 પોલીસકર્મીઓ, ઓડિશાના 6, ઉત્તર પ્રદેશના 17 અને જમ્મુ-કાશ્મીર પોલીસના 15 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. BSFના 1 જવાન, CRPFના 19, SSBના 4 અને આસામ રાઈફલ્સના 1 જવાનને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ ઉત્તર પ્રદેશ ફાયર વિભાગ અને જમ્મુ કાશ્મીર ફાયર વિભાગના 16 સૈનિકોને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
જુઓ સંપૂર્ણ લિસ્ટ – https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2096015
વીરતા પુરસ્કાર કોને આપવામાં આવે છે?
વીરતા મેડલ (GM) એ જવાનોની અદભૂત કામગીરી કે જેમાં જીવન અને સંપત્તિના રક્ષણ, ગુનાને રોકવા અથવા ગુનેગારોની ધરપકડ સાથે સંકળાયેલી બહાદુરીની કામગીરી માટે આપવામાં આવે છે. જેમાં જે તે કામગીરીમાં અધિકારીની જવાબદારીઓ અને ફરજો અનુસાર જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચંદ્રક વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. પ્રશંસનીય કામગીરી માટે મેડલ સંસાધન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણમાં તેમની વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવે છે.