અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, રામલલાનો અભિષેક બાદ વિશેષ શ્રૃંગાર, પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

pranpratishthaAnniversary

સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. સીએમ યોગીએ મહાભિષેક કરીને 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ અવસર પર પ્રભુના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખો રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી, પરંતુ મંદિર ટ્રસ્ટે વર્ષગાંઠ હિંદુ કેલેન્ડર પ્રમાણે ઉજવવાનું નક્કી કર્યું છે, જે દિવસ 11 જાન્યુઆરીએ (શનિવાર) આવે છે. આ તહેવારને હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રતિષ્ઠા દ્વાદશી પર્વ નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે પ્રતિષ્ઠા દ્વાદશી પર્વ મુહૂર્ત મુજબ ઉજવવામાં આવી રહ્યો છે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં રામલલાને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. ત્યાર બાદ રામલલાને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા અને ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતા.

રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ પર રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આયોજિત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. સીએમ યોગીએ મહાભિષેક કરીને 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘શ્રીરામ અને રાષ્ટ્ર એક-બીજાના પૂરક છે. એક વગર બીજાની કલ્પના ન કરી શકાય. શ્રીરામ છે તો રાષ્ટ્ર છે અને રાષ્ટ્ર છે તો શ્રીરામ છે.’

પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું- રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આજે 2 લાખ ભક્તો રામલલાના દર્શન કરશે. તેમજ 11 થી 13 જાન્યુઆરી સુધી પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ 3 દિવસની ઉજવણી દરમિયાન કોઈ વીઆઈપીના દર્શન નહીં થાય. તેમજ સવારે 6.30 થી 9.30 સુધી સામાન્ય દર્શન ચાલુ રહેશે.

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, મંદિર પરિસરને 50 ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વીઆઈપી ગેટ નંબર 11 ને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. અન્ય દરવાજાઓને પણ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આજથી શરૂ થઈ રહેલા કાર્યક્રમ માટે પોલીસ અને વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ ઉપરાંત, કાર્યક્રમની ભવ્યતાને ધ્યાનમાં રાખીને રૂટ ડાયવર્ઝન પણ કરવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવી છે. પ્રવેશ સ્થળોએ ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.