એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પણ મહાકુંભમાં ભાગ લેશે, 29 જાન્યુઆરી સુધી સ્વામી કૈલાશાનંદનાં કેમ્પ રહી કલ્પવાસ કરશે

lauren-Mahakumbh

સ્વામી કૈલાશાનંદજીએ તેમને પોતાનું ગૌત્ર આપ્યુ તેમજ તેમનું નામ “કમલા” રાખ્યુ

સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. ૧૨ વર્ષ પછી, પ્રયાગરાજમાં આ વિશાળ કાર્યક્રમમાં વિશ્વભરના લાખો ભક્તો, સંતો અને સાધકો ભાગ લેશે. એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન જોબ્સ પણ મહાકુંભ 2025માં ભાગ લેશે. 61 વર્ષના લોરેન 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. અહીં તેઓ 29 જાન્યુઆરી સુધી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદના કેમ્પમાં રહેશે અને સનાતન ધર્મને નજીકથી સમજવાનો પ્રયાસ કરશે. આ સમય દરમ્યાન તેઓ અહીં કલ્પવાસ કરશે અને સંતોના સાનિધ્યમાં સાદુ જીવન જીવશે.

આપને જણાવી દઈએ કે લોરેન જોબ્સ હિંદુ અને બૌદ્ધ ધર્મો સાથે ખાસ જોડાણ ધરાવે છે અને આ પહેલા પણ મહાકુંભમાં આવી ચૂક્યા છે. તેઓ ઘણીવાર આવી ધાર્મિક મેળાવડાઓ તેમજ કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળ્યા છે. મહાકુંભ ઉપરાંત તેમના અન્ય કેટલાક ખાનગી કાર્યક્રમો પણ ભારતમાં છે, જેમાં તેઓ ભાગ લેશે.

તેઓ 19 જાન્યુઆરીથી શરૂ થનારી કથાની પ્રથમ હોસ્ટ પણ હશે. મહાકુંભમાં લોરેન પોવેલ જોબ માટે રહેવાની વ્યવસ્થા ખાસ મહારાજા ડીલક્સ કોટેજમાં કરવામાં આવી છે.

સ્વામી કૈલાશાનંદજી મહારાજે તેમનું ગોત્ર આપ્યું
આધ્યાત્મિક ગુરુ સ્વામી કૈલાશાનંદજી મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મહાકુંભમાં લોરેન પોવેલ જોબ્સ સહિત દેશ-દુનિયામાંથી ઘણા દિગ્ગજ લોકો ભાગ લેશે, અમે દરેકનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોરેનનો સવાલ છે, તેઓ મહાકુંભમાં ભાગ લેવા આવી રહ્યાં છે, તેઓ અહીં તેમના ગુરુને પણ મળશે. તેમણે કહ્યું કે અમે તેમને અમારું ગોત્ર પણ આપ્યું છે અને તેમનું નામ ‘કમલા’ રાખ્યું છે અને તે અમારી દીકરી જેવી છે.

હિન્દુ ધર્મમાં કુંભ અને માઘ મહિનામાં સાધુઓ સહિત ગૃહસ્થો માટે કલ્પવાસની પરંપરા છે. આ સમય દરમિયાન ગૃહસ્થોને થોડો સમય શિક્ષણ અને દીક્ષા આપવામાં આવે છે. તેના કેટલાક નિયમો અને ધાર્મિક માન્યતાઓ છે, જેમાં તપ, હોમ અને દાન કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2020ના ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની વાર્ષિક યાદીમાં લોરેન જોબ્સ 59મા સ્થાને હતાં. ટાઇમ્સ મેગેઝીને પણ તેમને ઘણી વખત વિશ્વની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરી છે. એપલના સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સ પણ સનાતન પરંપરામાં માનતા હતા અને તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે જેમાં તેઓ ભારતીય સંતોથી પ્રભાવિત છે.