‘વન નેશન-વન ઇલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી; ટૂંક સમયમાં સંસદમાં રજૂ થઈ શકે છે

oneNation-oneElection

મોદી સરકારે ગુરુવારે કેબિનેટની બેઠકમાં “એક દેશ, એક ચૂંટણી” બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહના ટેબલ પર મૂકી શકે છે. વડાપ્રધાન મોદીએ 2019માં 73મા સ્વતંત્રતા દિવસના અવસર પર “એક દેશ, એક ચૂંટણી”નો પોતાનો વિચાર સૌપ્રથમ રજૂ કર્યો હતો.

One Nation One Election: સંસદના શિયાળુ સત્ર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્ર સરકાર તેને શિયાળુ સત્રમાં ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.

સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. અને ત્યારબાદ આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને પછી તેને પસાર કરવામાં આવશે. અગાઉ, ‘એક દેશ, એક ચૂંટણી’ પર કોવિંદ સમિતિના અહેવાલને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ 2019માં 73મા સ્વતંત્રતા દિવસના અવસર પર સૌથી પહેલા “એક દેશ એક ચૂંટણી”નો પોતાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલુ રહેવી જોઈએ. વડાપ્રધાને પણ 2024માં સ્વતંત્રતા દિવસના અવસર પર આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

‘વન નેશન-વન ઇલેક્શન’ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં સ્વતંત્રતા દિવસ પર એક દેશ એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી, ભાજપ ઘણા પ્રસંગોએ એક દેશ એક ચૂંટણીની વાત કરી રહી છે. આ વિચાર એ હકીકત પર આધારિત છે કે દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. હાલમાં, લોકસભા એટલે કે સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ પાંચ વર્ષના અંતરાલમાં યોજાય છે. ભારતીય બંધારણમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ રાજ્યોની વિધાનસભાની મુદત અલગ-અલગ સમયે સમાપ્ત થાય છે, જે મુજબ જે તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. જો કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાય છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

સરકારના આ પગલાનો વપક્ષે કર્યો વિરોધ

દેશમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને AAP જેવી ઘણી પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે. જ્યારે નીતિશ કુમારના JD(U) અને ચિરાગ પાસવાન જેવા NDAના મુખ્ય સાથીઓએ એક સાથે ચૂંટણીને સમર્થન આપ્યું છે.

‘વન નેશન-વન ઇલેક્શન’ લાવવાનું કારણ…

હકીકતમાં, એક દેશ એક ચૂંટણીની ચર્ચા 2018માં કાયદા પંચના ડ્રાફ્ટ રિપોર્ટ બાદ શરૂ થઈ હતી. તે અહેવાલમાં આર્થિક કારણોની ગણતરી કરવામાં આવી હતી. પંચે કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણી અને ત્યાર બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીનો ખર્ચ લગભગ સરખો હતો. બીજી તરફ, જો ચૂંટણી એકસાથે યોજાય તો આ ખર્ચને 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

વર્ષ 1967 પછી એકસાથે ચૂંટણી કરાવવાની પ્રક્રિયા ખોરવાઈ

સરકારને સુપરત કરવામાં આવેલા તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં કાયદા પંચે જણાવ્યું હતું કે વર્ષ 1967 પછી એકસાથે ચૂંટણી કરાવવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. પંચે કહ્યું હતું કે આઝાદીના શરૂઆતના વર્ષોમાં દેશમાં એક પક્ષનું શાસન હતું અને પ્રાદેશિક પક્ષો નબળા હતા. . ધીમે ધીમે અન્ય પક્ષો મજબૂત બન્યા અને ઘણા રાજ્યોમાં સત્તા પર આવ્યા. તે જ સમયે, બંધારણની કલમ 356 ના ઉપયોગથી એક સાથે ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડ્યો. હવે દેશના રાજકારણમાં બદલાવ આવ્યો છે. ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ સમયે, ઘણા રાજ્યોમાં તેમની સરકાર પણ છે.

એકસાથે ચૂંટણી માટે રચાયેલી સમિતિની શું ભલામણો હતી?

સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે એક સાથે ચૂંટણીની ભલામણોને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. બીજા તબક્કામાં, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (પંચાયત અને નગરપાલિકા) સામાન્ય ચૂંટણીના 100 દિવસની અંદર યોજાશે. આ અંતર્ગત તમામ ચૂંટણી માટે એક કોમન વોટર લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ માટે દેશભરમાં વિગતવાર ચર્ચાઓ શરૂ કરવામાં આવશે. અમલીકરણ જૂથ પણ બનાવવામાં આવશે.

કોવિંદ સમિતિએ એમ પણ કહ્યું કે

  • 1951 થી 1967 વચ્ચે એકસાથે ચૂંટણી થઈ હતી.
  • 1999માં લો કમિશનના 170મા રિપોર્ટમાં એક લોકસભા અને તમામ એસેમ્બલી માટે પાંચ વર્ષમાં ચૂંટણીઓનું સૂચન કરવામાં આવ્યું હતું.
  • 2015માં સંસદીય સમિતિના 79મા અહેવાલમાં બે તબક્કામાં એકસાથે ચૂંટણી કરાવવાની રીતો સૂચવવામાં આવી હતી.
  • રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત વિવિધ હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો.
  • વ્યાપક પ્રતિસાદ દર્શાવે છે કે દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે વ્યાપક સમર્થન છે.

વન નેશન વન ઇલેક્શનના ફાયદા શું છે?

  • સરકારનું કહેવું છે કે એક સાથે ચૂંટણી યોજવાથી પૈસા અને સમયની બચત થશે.
  • વહીવટી તંત્ર કાર્યરત હોવાથી સુરક્ષા દળોમાં કોઈ તણાવ રહેશે નહીં.
  • ચૂંટણી પ્રચાર માટે વધુ સમય મળવાથી વિકાસના વધુ કામો પણ થઈ શકશે.
  • સાથે જ ચૂંટણીની ફરજના કારણે સરકારી કામકાજમાં પણ તકલીફ પડી રહી છે.