કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, બેદરકાર અધિકારીઓ સામે પોલીસ કમિશનરની કાર્યવાહી

kagdapith-PI-suspend

અમદાવાદમાં સતત વધી રહી છે ગુંડાગીરી, હત્યાના બનાવોમાં સતત વધારો થતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી

કાગડાપીઠ હત્યા કેસઃ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. એ. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા મૃતક અપ્લેશ ઠાકોરે નોંધાવેલ ફરિયાદમાં કડક કાર્યવાહી ન કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં બેદરકારી રાખતા અધિકારીઓ સામે પોલીસ કમિશનરે એક્શન લીધા છે અને ફરજમાં બેદરકાર અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે.

અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ આગળ મોડીરાતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બૂટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે. હુમલો થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટૂ-વ્હીલરને પણ આગચંપી કરી હતી.

ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બુટલેગરોએ અદાવતમાં હત્યા કર્યાનો આરોપ છે. બુટલેગર અને તેના સાગરિતોએ હત્યા કરી હોવાનું અનુમાન છે. પોલીસ સ્ટેશન પહોંચેલા લોકો માગ કરી રહ્યા હતા કે આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે.

પરિવારજનોએ પોસ્ટમોર્ટમ વોર્ડમાં સામે જ હોબાળો મચાવ્યો છે. પોલીસની કામગીરી ઉપર પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. અગાઉ માથાકૂટની પોલીસને જાણ કરી હતી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે પરિવારજનો કહી રહ્યા છે કે આરોપી ઝડપાશે પછી મૃતદેહ સ્વીકારીશું. પોલીસની ઢીલાશને લઈ હત્યા થઈ છે તેવો પરિજનોનો આરોપ છે.

આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હતી ત્યારે કાગઠાપીઠના PI એસ.એ.પટેલે બાંહધરી આપતો પત્ર લખ્યો કે હું રહીશ ત્યાં સુધી અહીં દારૂ વેચાશે નહીં અને આ લેટર જેવો જ સામે આવ્યો કે તરત જ PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અગાઉ પણ અનેક વિવાદોમાં આવેલા પોઆઈ એસ.એ. પટેલની સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે.]

બે દિવસ પહેલાં કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ ઠાકોરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ શર્મા વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી હતી. અલ્પેશ જયેન્દ્રપંડિત નગરમાં રહેતી તેની બહેન ટીનાના ઘર નીચે એક્ટિવા પર બેસીને વાતચીત કરતો હતો ત્યારે કોઈ યુવક સાથે બોલાચાલી થતા યુવક અને તેના મિત્રોએ અલ્પેસ પર હુમલો કરી દીધો હતો. અલ્પેશને માથામાં પાઇપ મારી દેતાં તેને લોહી નીકળવા લાગ્યું હતું, જેથી તે દોડીને ભાગી ગયો હતો. અલ્પેશે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ કરી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાની જાણ થતા તે યુવક અને તેના મિત્રોએ તેની હત્યા કરી નાખી હતી.

હત્યારાઓ નામચીન બૂટલેગર
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, કાગડાપીઠ વિસ્તારમાં જિજ્ઞેશ શર્મા દારૂનો ધંધો કરે છે. જિજ્ઞેશ શર્મા નાના-મોટા બૂટલેગરોને દારૂ પૂરો પાડે છે અને તેની જાણ સ્થાનિક પોલીસને પણ છે. જિજ્ઞેશ શર્મા તેમજ વિશાલ, વિરાજ અને વિક્કી પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. ગઇકાલે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને જિજ્ઞેશે હુમલો કરી દીધો હતો, જેમાં અલ્પેશનું મોત થયું છે.

કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધતા જતા ખૂન, હત્યા-ઘાડ, ખંડણી સહિતના ગંભીર ગુન્હાઓ માટે ભાજપ સરકારની ઢીલી નિતિ જવાબદાર છે. અસામાજિક તત્વો–બુટલેગરોને પોલીસ તંત્ર-કાયદાનો ડર રહ્યો નથી. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર ગૃહમંત્રી જવાબ આપે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. કાયદાના રક્ષકના જીવ જોખમમાં મૂકાય છે અને ફાયદો બુટલેગરોને થઈ રહ્યો છે. જે ગામમાં દૂધના ટેન્કર ફરતા હતા ત્યાં હવે દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે.

અમદાવાદમાં સતત વધી રહી છે ગુંડાગીરી
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા જ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરી લીધી છે. જેમાં એક આરોપી મૃતકનો જ ભત્રીજો છે, જેણે હત્યા માટે સોપારી આપી હતી અને બીજા ત્રણ આરોપીઓ કે જેઓ હત્યામાં સામેલ હતા. મધ્યપ્રદેશના રતલામાથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માણેકબાગ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી
આ સિવાય શહેરના બોપલ વિસ્તારમાં પણ એક વિદ્યાર્થિની હત્યા કરવામાં આવી હતી, તેનો આરોપી પોતે જ પોલીસવાળો નીકળ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા શહેરના માણેકબાગ વિસ્તારમાં પણ મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.