પન્નુએ વીડિયો જાહેર કરી ધમકી આપતા કહ્યું કે “હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાના પાયા હલાવી દઈશું”
કેનેડા સરકાર દ્વારા મળી રહેલા સપોર્ટથી ખાલિસ્તાનીઓની હિંમત હવે એટલી વધી ગઈ છે કે તેઓ હવે અયોધ્યાના રામ મંદિરને ટાર્ગેટ કરવાની ધમકી આપવા લાગ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો જાહેર કરીને હિન્દુઓની આસ્થાના મોટા કેન્દ્ર રામ મંદિરને ઉડાડવાની ધમકી આપી છે.
SFJ ચીફ પન્નુએ વીડિયોમાં કહ્યું કે, 16 અને 17 નવેમ્બરે અયોધ્યા રામ મંદિરમાં હિંસા થશે. કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર સાથે-સાથે અન્ય બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે.
અયોધ્યાના પાયા હલાવી દઈશું
વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું, અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાના પાયા હલાવી દઈશું. પન્નુની આ ધમકીથી ભારતના સૌથી પવિત્ર સ્થળમાંથી એક (રામ મંદિર) પર મોટું સંકટ આવી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદીની અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતી તસવીર પણ દર્શાવવામાં આવી છે. ખાલિસ્તાની આતંકીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પર થઈ રહેલા ખાલિસ્તાની હુમલાથી દૂર રહેવાની પણ ધમકી આપી છે.
પહેલાં પણ અનેક ધમકી આપી ચૂક્યો છે પન્નુ
ભારતથી ફરાર થનાર ભાગેડુ પન્નુ ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતો રહે છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું કામ કરતો રહે છે. એવું નથી કે પન્નુએ પહેલીવાર ભારત વિરુદ્ધ કોઈ ધમકી આપી છે. આ પહેલાં પણ પન્નુએ ભારતમાં પ્લેન ઉડાડી દેવાની ધમકી આપી હતી. પન્નુએ કહ્યું હતું કે શીખ દંગોના 40 વર્ષ પૂરાં થવા પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને 1થી 19 નવેમ્બર સુધી એર ઇન્ડિયામાં ઉડાન ન ભરવાની ચેતવણી આપી હતી.
- કોણ છે પન્નુ?
- ગુરપતવંત સિંહ પન્નુ મૂળ પંજાબના ખાનકોટનો છે. પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ થયો હતો. તેણે અભ્યાસ પણ અહીંથી જ કર્યો હતો.
- 1947માં ભાગલા પછી પન્નુનો પરિવાર પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટ ગામમાં આવી ગયો હતો.
- પન્નુના પિતા પંજાબમાં એક કંપનીમાં કામ કરતા હતા. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે.
- પન્નુએ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીથી લો નો અભ્યાસ કર્યો છે. પન્નું હાલમાં અમેરિકામાં રહે છે અને ત્યાં જ વકાલાત કરી રહ્યો છે.
- પન્નુએ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ'(SFJ) નામનું સંગઠન બનાવ્યું હતું. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંનેની નાગરિકતા છે.
- વર્ષ 2019માં ભારત સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો.
- વર્ષ 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. 1 જુલાઈ, 2020ના રોજ ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો.