વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી લઈને કોંગ્રેસનો જોરદાર પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વાવમાં સંમેલન યોજાયું હતું.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સંમેલનને યોજાયેલ હતો. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 13મી નવેમ્બરે યોજાવાની છે, પ્રચાર પડઘમ શાંત થવાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે.
વાવમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મેઘવંશી સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાલકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ઘારાસભ્ય અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી સુહાશીની યાદવ, બળદેવજી ઠાકોર,ચંદનજી ઠાકોર સહિત વાવ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
મુકુલ વાસનિકનો ભાજપ પર પ્રહાર
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી ભાજપને આડે હાથે લેતા જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશ માટે ન્યાયની લડાઈ લડી રહ્યાં છે. આજે આપણે અહીંયા એકત્રીત થયા છીએ તે સંવિધાનને બચાવા માટે ભેગા થયા છીએ. ભારતના સંવિધાન સભાની ચૂંટણી થઈ કોંગ્રેસના લોકો પુરા દેશમાં જીત્યા અને નાની નાની પાર્ટીઓથી કોઈ લોકો જીત્યા, શિડ્યુલ ફેડરેશન થી બાબા સાહેબ આંબેડકર ભારતના સંવિધાન સભામાં પહોંચ્યા હતા. આઝાદ ભારતમાં સરકારની ઈચ્છા વગર કોઈપણ અધિકારી ગેરવર્તણુક કરી શકે નહીં. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું અપમાન કરનાર સરકારના ઈશારે નાચતી કઠપુતળીઓ છે. કોંગ્રેસ પક્ષની સરકારે રોજગારનો અધિકાર, શિક્ષણનો અધિકાર, આરોગ્યનો અધિકાર, અન્ન સુરક્ષા અધિકાર, જંગલના જમીનનો અધિકાર, માહિતી અધિકાર સહિત દેશના કરોડો લોકોના જીવનમાં બદલાવ માટે કામ કર્યું, જે આજે જનતા અનુભવી રહી છે બીજી બાજુ ભાજપ સરકાર જનતાના અધિકાર છીનવી રહી છે. આ સાથે મુકુલ વાસનિકે 13મી તારીખે કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી.
ભાજપ વાળા દલિતના હાથનું પાણી પણ નથી પીતા: શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપની માનસિકતા જનતા વિરોધી ગણાવી. તેમણે એક આદિવાસીનો દીકરો ઝૂંપડામાં બેસીને બાણવિદ્યાની પ્રેક્ટીસ કરે એ કૌરવો – પાંડવો કરતા પણ હોંશિયાર બને અને ભસતા કૂતરાનું મોઢું બંધ કરી કૌરવોના દીકરાઓનો વધ કરશે એવા ડરથી દ્રોણાચાર્યે એકલવ્યને અંગુઠો ગુરુદક્ષિણામાં માંગી લીધો હતો એ જ અત્યારે ભાજપમાં છે, જેમને અત્યારે એકલવ્યો ગમતા નથી. અગાઉની કોંગ્રેસની સરકારમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ રહેતું. દલિત સમાજના નેતાઓ વિશેષ રીતે સન્માનિત રહેતા હતા. નરસિંહભાઈ મકવાણા હોય, યોગેન્દ્રભાઈ મકવાણા હોય, મનુભાઈ પરમાર હોય, દોલતભાઈ પરમાર હોય, આ દલિત સમાજમાંથી આવતા નેતાઓ રાજ્યની નીતિ નક્કી કરવા માટે વાત કરતા હતા. એમનો અવાજ સંભળાતો હતો. રામ શબરીના એઠા બોર ખાઈ શકે પણ આજે આવુ ક્યાંય દેખાતુ નથી.
ભાજપ વાળા દલિતના હાથનું પાણી પણ નથી પી શકતા.એ હકીકત છે. દલિત ખેતમજદુરને ખેડૂત બનાવવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું છે. ભાજપ ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને આપી શકે છે પરંતુ દલિત ખેતમજદુરને સાંથણીની જમીન આપી શકતી નથી. કોંગ્રેસના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ રાજપૂતને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
મત આપીને ગુલાબસિંહને જીતાડવા સર્વે સમાજને અપીલ અમિત ચાવડાની
ભાજપ સરકાર જનતાને સતત અન્યાય કરી રહી છે. લોકોના હક્ક-અધિકાર પર તરાપ મારવાનું કામ કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ હંમેશા દલિત, આદિવાસી, બક્ષીપંચ સહિત શોષીત પીડીત સમાજના ન્યાય માટે લડતુ રહ્યું છે અને આગામી સમયમાં પણ લડાઈ લડતી રહેશે ત્યારે સર્વે સમાજ ભેગા થઈને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે આહવાન કર્યું હતું.
ભાજપ-RSS નફરતની રાજનીતિ કરે છે:ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
ભાજપ-RSS સૌથી વધુ નફરતનું રાજકારણ કરે છે અને સૌથી વધુ સંવિધાનને નફરત કરે છે. ભાજપ- RSS અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચને સૌથી વધુ નુકસાન કરવાની નિતિ અપનાવી રહી છે. વાવ વિધાનસભામાં મજબૂતિથી કોંગ્રેસ તરફી મતદાન કરીને વાવ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારશ્રી ગુલાબસિંહ રાજપુતને જીતાડવા અપીલ કરું છું.
દલિત સમાજને અન્યાય થશે ત્યાં કોંગ્રેસ પક્ષ ઢાલ બનીને કામ કરશે: ગેનીબેન ઠાકોર
વાવ ખાતે યોજાયેલા મેઘવંશી સમાજના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પશુને પણ આપણે જોઈને ખરીદતા હોઈએ છીએ ત્યારે ત્રણ લાખ લોકોના પ્રતિનિધિને ચૂંટવાનો હોય ત્યારે તેનો વ્યવહાર કેવો છે ? તે જોવો જોઈએ. ક્યાંય પણ દલિત સમાજને અન્યાય થશે ત્યાં કોંગ્રેસ પક્ષ ઢાલ બનીને કામ કરશે તેવી બાંહેધરી આપતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
ભાજપના અહંકારને હરાવવાનો છે: એ.આઈ.સી.સી.ના મંત્રી સુહાશીની યાદવ
વાવ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડીને ભાજપના અહંકારને હરાવવાનો છે. ભાજપાના અન્યાયી શાસન સામે પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા અપીલ કરું છું.