વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં તેના વાલી તથા સ્કૂલ ફરિયાદી બનીને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે. વટવા પોલીસ દ્વારા શિક્ષકની અટકાયત પણ કરી લેવામાં આવી છે.
અમદાવાદમાં પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતો મારતો તેને ક્લાસની વચ્ચે લાવે છે. બાદમાં તેનું માથું દીવાલે પછાડી ઉપરાઉપરી લાફા મારે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ DEOએ સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. આ બનાવ બાદ સ્કૂલે પણ કાર્યવાહી કરતા ગણિતના શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દીધો છે.
ઘટનાની વિગત એવી છે કે, શહેરનાં વટવા વિસ્તારમાં આવેલ માધવ પર્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેઠો હતો, ત્યારે તે વિદ્યાર્થીને તેના સ્કૂલના શિક્ષક દ્વારા કોઇ કારણસર ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીની જગ્યા પર જાય છે અને તેને પકડીને બ્લેક બોર્ડ પાસે લાવીને દીવાલ પર માથું અથડાવે છે. ત્યાર બાદ ચાર સેકન્ડમાં જ એક પછી એક 10 લાફા ઝીંકી દે છે, જોકે ત્યાર બાદ વિદ્યાર્થીને પીઠમાં જોરથી મારે છે અને ધક્કો મારીને બીજી તરફ દૂર કરે છે.
વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં તેના વાલી તથા સ્કૂલ ફરિયાદી બનીને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે. એ બાદ વટવા પોલીસ દ્વારા ક્રૂર શિક્ષકની અટકાયત પણ કરી લેવામાં આવી છે.
વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવાનો CCTV ફૂટેજ મીડિયામાં પ્રકાશિત થતાં DEO દ્વારા માધવ સ્કૂલની મુલાકાત લેવામાં આવી છે અને શિક્ષણ અધિકારીઓને પણ સ્કૂલ ખાતે ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણમંત્રીએ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ ફરીવાર આ પ્રકારની ઘટના ન બને એ માટે ચોક્કસ પગલાં લેવા જણાવ્યું છે.
માધવ સ્કૂલના ટ્રસ્ટી સચિન પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે દિવસે આ ઘટના બની હતી એ જ દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગતરોજ સ્કૂલના આચાર્ય દ્વારા પણ નિયમ અનુસાર સંચાલન ન થતું હોવાથી તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. DEO કચેરી ખાતે પણ આ બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે એ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ વિદ્યાર્થીને શારીરિક અથવા માનસિક સજા ન આપવી જોઈએ એવો શિક્ષણ મંત્રાલયનો પરિપત્ર છે જ, પરંતુ ફરી એક વખત આ ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જિલ્લાની તમામ સ્કૂલોને ફરી એકવાર આજે પરિપત્ર આપવામાં આવ્યો છે.