મોરબી પાસે Kia કારમાં આગ લાગતા સિરામિક બિઝનેસમેનનું મોત, કારમાંથી 5 લાખ રોકડા તેમજ પિસ્તોલ, ઘડિયાળ અને 8 ફોન મળ્યા

morbi-carFire

ગાડીમાં આગ લાગતા જ દરવાજા લોક થઈ જતા કારચાલક બળીને ભડથુ થઈ ગયા

મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.39) નામનો યુવાન કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને લીલાપર કેનાલ રોડ પરથી બપોરના 1:00 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ ટેકનીકલ કારણોસર તેમની ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કારના દરવાજા લોક થઈ જતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા. કાર અચાનક ભડભડ સળગતા તેઓ કારમાં જ ભડથું થઈ ગયા હતા. પરિણામે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

કારમાં આગ લાગવાની જાણ થતા જ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં આવ્યા પછી તુરંત જ ગાડીમાંથી મૃતક યુવાનની લાશને બહાર કાઢી હતી. ગાડીમાંથી એક થેલો મળ્યો છે જેમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ, એક પિસ્તોલ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવી છે. જે તમામ મુદ્દામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા. આ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. કારમાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.