ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ભારે વરસાદની વચ્ચે આજે સાંજે અચાનક મહાકાલ મંદિરના ગેટ નંબર 4ની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે. હજુ પણ કેટલાક ફસાયા હોવાની આશંકા છે.
ઉજ્જૈનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અને હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. આ વરસાદને કારણે મહાકાલ મંદિર વિસ્તારમાં એક દૂર્ઘટના સર્જાઈ છે. મહાકાલ મંદિરના ગેટ નંબર 4 પર જ્યોતિષાચાર્ય પંડિત આનંદશંકર વ્યાસના ઘર પાસે અચાનક જૂની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના લીધે દિવાલ પાસે સામાન વેચતા કેટલાક લોકોને તેની અસર થઈ હતી. મંદિર પ્રશાસનને માહિતી આપવામાં આવી હતી કે, દિવાલ ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે.
આ તરફ એસપી પ્રદીપ શર્માએ બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘટનાને લઈ તાત્કાલિક મદદ બોલાવવામાં આવી હતી અને વહીવટી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને બચાવકર્મીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. મહાકાલ મંદિર પ્રશાસનને આ લોકોના દટાયા હોવાની માહિતી મળતા જ તેમણે તાત્કાલિક મહાકાલ પોલીસ સ્ટેશન અને મંદિરના કર્મચારીઓની મદદથી ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે, કાટમાળ નીચે કેટલા લોકો દટાયા છે અને કેટલાને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે.