મહાલક્ષ્મીના પતિએ જણાવ્યું હતુ કે મહિલાના અન્ય પુરુષ અશરફ સાથે લગ્નેત્તર સંબંધો હતા. શક્ય છે કે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હોય
વર્ષ 2022માં દિલ્હીમાં આફતાબ નામના વ્યક્તિએ તેની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી તેની લાશના ટુકડે-ટુકડા કરી ફ્રિજમાં સંઘરી રાખ્યા હતા અને બાદમાં જંગલમાં તેનો નિકાલ કરી દીધો હતો. આ કેસે આખા દેશમાં અરેરાટી મચાવી દીધી હતી. ત્યારે હવે કર્ણાટકના મલ્લેશ્વરમમાંથી પણ આ શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, 26 વર્ષની એક મહિલાની નિર્દયતાથી હત્યા કર્યા બાદ તેના શરીરના 30 જેટલા ટુકડા કરી તેને એક ઘરની અંદર ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. એડિશનલ સીપી વેસ્ટ, સતીશ કુમારે જણાવ્યું હતું કે, દુર્ગંધ આવતાં પોલીસ આ સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે મૃતક યુવતિની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું નામ મહાલક્ષ્મી છે. તે અન્ય રાજ્યની રહેવાસી છે. તે કર્ણાટકના મલ્લેશ્વરમમાં આવેલા વ્યાલિકાવલ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતી હતી. અને શોપિંગ મોલમાં કામ કરતી હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર ફ્રિજમાંથી પોલીસે જ્યારે મૃતકના લાશના ટુકડા બહાર કાઢ્યા ત્યારે સામે આવ્યું હતું કે લાશ સડી ગઈ છે અને તેમાં ઈયળ પડી ગઈ છે. આથી પોલીસને અનુમાન છે કે હત્યા 10-15 દિવસ પહેલાં થઈ હોવી જોઈએ.
પાડોશીઓએ યુવતીની માતા અને ભાઈને ફોન કરીને યુવતિના ઘરમાંથી દુર્ગંધ આવવાની જાણ કરી હતી. ત્યાર બાદ બંને જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મહાલક્ષ્મી તેના પતિથી અલગ છેલ્લા 3 મહિનાથી અહીં ભાડે રહેતી હતી અને બેંગલુરુના એક મોલમાં કામ કરતી હતી. તેનો પતિ શહેરથી દૂર એક આશ્રમમાં કામ કરે છે. ઘટનાની માહિતી મળતા તે પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
મહાલક્ષ્મીના પતિએ જણાવ્યું હતુ કે મહિલાના અન્ય પુરુષ અશરફ સાથે લગ્નેત્તર સંબંધો હતા. શક્ય છે કે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હોય. જેથી મે અશરફ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. પીડિતાના પરિવારજનોને પણ અશરફ પર શંકા છે. હેમંતે કહ્યું કે તે અશરફ સાથે રહેતી હતી, જે મૂળ ઉત્તરાખંડનો રહેવાસી છે અને વાળંદની દુકાનમાં કામ કરે છે.
હત્યાનું ચોક્કસ કારણ સામે નથી શક્યું, પરંતુ પોલીસને આશંકા છે કે પ્રેમસંબંધમાં આ હત્યા થઈ હોય શકે છે. પોલીસે હાલ હત્યારાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. છે. પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે.
શ્રદ્ધા વાલકર હત્યાકાંડ
ઉલ્લેખનીય છે કે, 18 મે 2022ના રોજ દિલ્હીના છતરપુર વિસ્તારમાં રહેતા આફતાબે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી તેને ફ્રીજમાં ભરી દીધા હતા. ત્યાર બાદ આફતાબ રોજ એક-બે ટુકડા નજીકના જંગલમાં ફેંકી દેતો હતો.
શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા અને મિત્રો ચિંતાતુર થયા હતા. તેના પિતા એક દિવસ તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે છ મહિના બાદ પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી.
દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે આ કેસમાં 150 થી વધુ સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં હતાં. પોલીસે આફતાબના અવાજના નમૂના પણ રેકોર્ડ કર્યા હતા. પોલીસે આફતાબનો નાર્કો અને પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેણે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
આફતાબ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને દિલ્હીની જ કોર્ટમાં તેની વિરુદ્ધ હત્યાનો કેસ ચાલી રહ્યો છે.