સ્થાનિકો દ્વારા ગણપતિ પંડાલવાળા ટાવર પરથી અરબી ઝંડો ઉતારવાનું કહેતા મુસ્લિમ સમુદાયના લોકો ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા અને ઝંડો નહીં ઉતરે, થાય તે કરી લેવાની ધમકી આપી
સ્થાનિક કોર્પોરેટરને બોલાવતા તેમણે ઝંડો ઉતરાવી લીધો, તો ફરી તમામ દસે-દસ ટાવરમાં સોસાયટીના ગેટ પર પણ મઝહબી ઝંડા લગાવ્યા
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. સુરતમાં ગણપતિ પંડાલ પર હુમલો થયો તેને હજુ ગણતરીના કલાકો વીત્યા છે, ત્યાંજ હવે વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસના ફ્લેટમાં ગણેશોત્સવમાં અરબી ઝંડા લગાડવાની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીનાં F ટાવરમાં હિંદુ સમાજના લોકો દ્વારા સાર્વજનિક ગણપતિ પંડાલ લગાવીને ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તેવામા ગઈ કાલે(8 સપ્ટેમ્બર, 2024) અર્બન-7 રેસિડેન્સીના જે બ્લોકમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી છે તે બ્લોકનાં ટેરેસ પર અરબી ઝંડા લગાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓને ઘટના ધ્યાને આવતા જ તેમણે તેનો વિરોધ કર્યો હતો અને ગણપતિ પંડાલવાળા ટાવર પરથી અરબી ઝંડો ઉતારી દેવા જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા અને ઝંડો નહીં ઉતરે, થાય તે કરી લેવાની ધમકી આપી હતી.

ઘટના અંગે ગણેશ ઉત્સવ કમિટીના સભ્ય નીતિન રાજપૂતે જણાવ્યું હતું કે, “તે લોકોએ જાણીજોઈને ગણેશ પંડાલવાળા ફ્લેટ પર જ તેમનો અરબી ઝંડો લગાવ્યો. જે વ્યક્તિએ ઝંડો લગાવ્યો, તે વ્યક્તિને અહીં ફ્લેટ ફાળવવામાં આવ્યો તો છે પણ તે અહીં નથી રહેતો. તેણે અન્ય કોઈ પરિવારને ફ્લેટ રહેવા આપી દીધો છે અને તે પોતે પાદરા રહે છે. અહીં જેટલા પણ મુસ્લિમ પરિવારો વસે છે, તેમાંથી મોટા ભાગના લોકોના ફ્લેટ અહીં નથી. મૂળ માલિકોએ અન્ય લોકોને ફ્લેટ રહેવા માટે આપી દીધા છે.”
વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “અહીં જે મુસ્લિમ સમુદાયના લોકો રહે છે, તેમણે ઝંડો ઉતારવાનો વિરોધ કર્યો હતો. પરંતુ અમે સ્થાનિક કોર્પોરેટરને બોલાવતા તેમણે ઝંડો ઉતરાવી લીધો હતો. અમને એમ થયું હતું કે માથાકૂટ પૂરી થઇ ગઈ છે, પરંતુ રાત્રે 11 વાગ્યે અચાનક જ અમારી સોસાયટીમાં મુસ્લિમ લોકોના ટોળા ભેગા થઇ ગયા. જેટલા લોકો ટોળામાં હતા એટલા તો અમારી સોસાયટીમાં મુસ્લિમો રહેતા પણ નથી. તે લોકોએ દાદાગીરી કરીને ધમકીઓ આપીન દસે-દસ ટાવરમાં અરબી ઝંડા લગાવી દીધા. આટલું જ નહીં, આ વખતે એમણે સોસાયટીના ગેટ પર પણ તેમનો મઝહબી ઝંડો લગાવ્યો અને કહ્યું કે અમારા ઝંડા નહીં જ ઉતરે થાય તે કરી લો. તેમના ટોળામાં મહિલાઓ પણ હતી અને તેઓ પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહી હતી.”
ફરીથી ઝંડા લાગતાની સાથે જ સ્થાનિક રહેવાસીએ ફરી કોર્પોરેટર નીતિન દોંગાને ફરિયાદ કર હતી. તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેવામાં કોઈએ પોલીસને ઘટનાની જાણ કરતા સ્થાનિક પોલીસ પણ અહીં મોટા કાફલા સાથે દોડી આવી હતી. નીતિન દોંગાએ આવીને ફરી એક વાર પોલીસની હાજરીમાં અરબી ઝંડા ઉતરાવી દીધા હતા.
તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ આ ઘટના બાદ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. તેમને તેવી ભીતિ છે કે ભવિષ્યમાં પણ તેમની સોસાયટીમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો તેમની સાથે સંઘર્ષમાં ઉતરશે જ. તેમણે કહ્યું હતું કે, “અમને તાજેતરમાં જ આ મકાનો ફાળવવામાં આવ્યા છે અને આ જગ્યાએ અમારો પહેલો જ હિંદુ તહેવાર છે. સનાતન ધર્મમાં અઢળક તહેવારો આવે છે અને અમને ડર છે કે તેઓ અમારી સાથે સંઘર્ષમાં ઉતરશે જ.
અમારી પ્રશાસનને માંગ છે કે હિંદુઓના વિસ્તારમાં બિનહિંદુઓને રહેઠાણ ન ફાળવે. અમારા ત્યાં જેમને મકાનો આપવામાં આવ્યા છે તેમને અન્ય સ્થળ પર ખસેડીને ઘર્ષણ ન થાય તે દિશામાં કામ કરે.”
સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતુ કે, “સવારે જયારે સ્થાનિક લોકોએ મને ફોન કર્યો, તો હું તરત જ ત્યાં દોડી ગયો અને ઘર્ષણ ન થાય તે હેતુથી ઝંડો ઉતરાવીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ત્યારે તો બધું થાળે પડી ગયું, પરંતુ મને રાત્રે ફરી ફોન આવ્યો કે ત્યાના સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓએ એક ઝંડો ઉતારીને રાત્રે તમામ ટાવર્સમાં અને ગેટ પર તેમના મઝહબી અરબી ઝંડા લગાવી દીધા છે.
આ ઘટના સ્પષ્ટ પણે સંઘર્ષમાં ઉતરવાની વાત છે, તેને જરા પણ નહીં ચલાવી લેવામાં આવે. અમે પોલીસની હાજરીમાં જ આ ઝંડા ઉતરાવી લીધા છે અને ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે આખા ટાવરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું. હાલ ત્યાં કોઈ જ માથાકૂટ ન હોવાનું તેમણે જણાવ્યું છે.