સીએમ બે દિવસ માટે નડિયાદના મહેમાન બનશે અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે યોજાનાર એટ હોમ અને ‘ખેડાનું ખમીર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી સહભાગી થશે.
સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના દસ તાલુકાના ગામડાઓમાં રૂ. 806.54 લાખના 302 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું.
સરદાર પટેલની ભૂમિ નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. .ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ બુધવારના રોજ નડિયાદના બે દિવસ માટે મહેમાન બનશે. આવતી કાલે ૧૪ ઓગસ્ટના રોજ સાંજના ૪.૦૦ કલાકે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરના યોગી ફાર્મ ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલ તેમજ મુખ્ય મંત્રી સહભાગી થશે. ત્યારબાદ સ્વતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ ડાકોર રોડ પર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ‘ખેડાનું ખમીર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જિલ્લાના પ્રાગૈતિહાસિક યુગથી લઈ સમકાલીન ખેડા જિલ્લાના વિકાસની વાતને આવરી લેવામાં આવી છે.
નાટક નૃત્ય કલાકારો કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે
આ કાર્યક્રમમાં સ્થાનિક નડિયાદ કલા મંદિરના 40 સહિત 225થી વધુ નાટક નૃત્ય કલાકારો એક સાથે આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન, સાહિત્યિક વારસો, સાંસ્કૃતિક, ધાર્મિક ધરોહરને કલાના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું શાલ અને બહુમાનપત્ર આપી સન્માન કરવામાં આવશે.
સીએમ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ખેડા જિલ્લાના રૂ. 118.54 કરોડના 218 વિકાસ કામોનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને પરિણામે જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે.
આ અવસરે રાજ્યપાલ તેમજ મુખ્ય મંત્રીના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત ખમીરવંતુ ખેડા અને ખંતીલું ખેડા જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના દસ તાલુકાઓના ગામડાઓમાં 806.54 લાખના 302 જેટલા વિકાસ કામોનું સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલ સ્વાતંત્ર્ય દિન તા. 15 ઓગસ્ટના રોજ S.R.P મેદાનમાં રાષ્ટ્રની આન, બાન અને શાન એવા તિરંગાને લહેરાવશે. આ અવસરે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કેશવ કથા કુંજ હોલ, યોગી ફાર્મ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા. 15 અને 16 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 7 કલાક સુધી ખુલ્લું રહેશે.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.