દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ 15મી મે 2024 થી અમુક ચોક્કસ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રિટેલ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેન્કે રૂપિયા 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો છે. અગાઉ એસબીઆઈએ 27 ડિસેમ્બર, 2023ના રોજ વ્યાજદરોમાં વધારો કર્યો હતો. નવા દરો 15 મે, 2024થી લાગૂ થશે.
આ એસબીઆઈ સ્પેશિયલ એફડી “અમૃત કળશ” સ્કીમમાં 21 સપ્ટેમ્બર 2024 સુધી રોકાણ કરી શકાશે. એસબીઆઈએ રિટેલ ડિપોઝિટ સેગમેન્ટમાં 46થી 179 દિવસ, 180 થી 210 દિવસ અને 211થી 1 વર્ષ સુધીની RDના વ્યાજદરો 25-75 બેઝિસ પોઈન્ટ (bps) વધાર્યા છે. એસબીઆઈ દ્વારા એફડી પર કરવામાં આવેલા વધારા અંતર્ગત હવે વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકાનું બેનિફિટ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈની એફડી પર 4 ટકાથી 7.5 ટકાની રેન્જમાં વ્યાજદરો લાગૂ છે.
અમૃત કળશ FDમાં 400 દિવસ માટે રોકાણ કરવાનું રહે છે. બેંક આ FD પર બાકી FDની તુલનામાં વધારે વ્યાજ આપે છે. આ સ્કીમ હેઠળ બેંક સામાન્ય નાગરિકોને 7.10 ટકા તેમજ સિનિયર સિટીઝનને 7.60 ટકા વ્યાજ આપે છે. રોકાણકારો આમાં વધુમાં વધુ 2 કરોડ રૂપિયા સુધીની FD કરી શકે છે. આ ઉપરાંત FD પરનાં વ્યાજની ચુકવણી માસિક, ત્રિમાસિક અથવા તો વાર્ષિક કરી શકાય છે. વ્યાજની ચુકવણી ક્યારે થાય તેની પસંદગી રોકાણકાર કરી શકે છે. આ સ્કીમમાં ઓનલાઈન તથા ઓફલાઈન બન્ને મોડમાં રોકાણ કરી શકાય છે. ખાસ વાત એ છ કે આ સ્કીમમાં રોકાણકાર લોનની સુવિધા પણ મળે છે.
સામાન્ય નાગરિકો માટે બેન્ક FDના નવા રેટ
અવધિ | વ્યાજદર |
7થી 45 દિવસ | 3.50 ટકા |
46 દિવસથી 179 દિવસ | 5.50 ટકા |
180થી 210 દિવસ | 6.00 ટકા |
211 દિવસથી 1 વર્ષ | 6.25 ટકા |
1થી 2 વર્ષ | 6.80 ટકા |
2થી 3 વર્ષ | 7.00 ટકા |
3થી 5 વર્ષ | 6.75 ટકા |
5થી 10 વર્ષ સુધી | 6.50 ટકા |
સિનિયર સિટિઝન માટે બેન્ક FDના નવા રેટ
અવધિ | વ્યાજદર |
7થી 45 દિવસ | 4 ટકા |
46 દિવસથી 179 દિવસ | 6 ટકા |
180થી 210 દિવસ | 6.50 ટકા |
211 દિવસથી 1 વર્ષ | 6.75 ટકા |
1થી 2 વર્ષ | 7.30 ટકા |
2થી 3 વર્ષ | 7.50 ટકા |
3થી 5 વર્ષ | 7.25 ટકા |
5થી 10 વર્ષ સુધી | 7.00 ટકા |