કનુ દેસાઈનાં વિવાદિત નિવેદન બાદ હવે કોળી સમાજ ભાજપથી નારાજ

kanu-desai

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ૭મી મેનાં રોજ થવાનું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. ભાજપ સામે વિરોધનો વંટોળ થંભવાનું નામ લેતો નથી. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપિયાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે હવે વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આજ રોજ રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર કનુ દેસાઈના વિવાદિત નિવેદન બાદ કોળી સમાજ નારાજ છે. કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય’ આ નિવેદન બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

કોળી સમાજના આગેવાન અખિલ ભારતીય કોળી સમાજનાં ઉપપ્રમુખ મુન્નાભાઈ બાવળિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. ભાજપે કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. જો માફી નહિ માગે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. ક્ષત્રિય સમાજની માફક અમે ક્ષમતા વાળા નથી કે મહા સંમેલન કરી શકીએ પરંતુ ધારીએ તેને હરાવી શકીએ છીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે. અમારો રોષ મત પેટીમાં વ્યક્ત કરીશું.

આ મામલે અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ ટિપ્પણીનું પરિણામ કનુ દેસાઈએ ભોગવવુ પડશે. બધા સમાજ માટે આવા બફાટ થાય છે તો ભાજપ હાઈકમાન્ડ ચૂપ કેમ છે? આ મોટા દરજ્જાના નેતાઓ બફાટ કરે છે, આ ભુલ ન કહેવાય. કનુ દેસાઈએ રાજીનામું આપવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ માફ કરશે નહીં.’

ઉલ્લેખનિય છે કે, ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન ભાજપ માટે માથાના દુખાવા સમાન બન્યું છે, ત્યારે હવે કોળી સમાજે ભાજપ સામે બાયો ચઢાવી છે. મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.