પીએમ મોદીએ વિદેશી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં પારસીઓનું ઉદાહરણ આપીને આપ્યો જવાબ
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને નરેન્દ્ર મોદી 2024માં ત્રીજી ઇનિંગ માટે ઘણા કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન એક અંગ્રેજી અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું, ‘લોકોને ખ્યાલ છે કે આપણો દેશ ટેક ઓફ કરવા માટે તૈયાર છે અને તેના માટે ફ્લાઇટ ઝડપી આવે, લોકો જાણે છે કે આ સુનિશ્ચિત કરવા માટે એ પાર્ટી બેસ્ટ છે કે તેમને અહીં સુધી લાવી છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઇન્ટરવ્યૂમાં ઘણા મુદ્દાઓ પર ખુલાસો કર્યો છે. પીએમ મોદીએ પોતાના ઇન્ટરવ્યૂમાં વિદેશ નીતિથી લઈને ભારતમાં રહેતા લઘુમતીઓ સુધીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
આ ઈન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું. મોદીએ આના જવાબમાં પારસી સમુદાયની આર્થિક સફળતા તરફ આંગળી ચીંધી હતી. આ સાથે જ એમને ભારતની ભૂમિને મુસ્લિમો માટે સ્વર્ગ પણ ગણાવી હતી. કહ્યું કે, ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સાથે ભેદભાવની લાગણી નથી. દુનિયામાં ક્યાંય પણ અત્યાચારનો સામનો કરવો પડતો હોવા છતાં તેમને ભારતમાં સુરક્ષિત આશ્રય મળે છે. અહીં તેઓ બધા સુખી અને સમૃદ્ધપણે જીવે છે.
ભાજપના શાસનમાં મુસલમાનોને લઈને અવારનવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. પાર્ટીના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ કે મુસ્લિમ વરિષ્ઠ મંત્રી નથી. ઈન્ટરવ્યુમાં પણ જ્યારે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પીએમ મોદી પારસીઓની સફળતાની ચર્ચા કરવા લાગ્યા. ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો.
ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ ‘વૈશ્વિક ગતિશીલતાની જટિલતા’ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિદેશી બાબતોમાં ભારતનો સૌથી મહત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધાંત તેનું રાષ્ટ્રીય હિત છે. પીએમ મોદીના મતે, આ અભિગમ ભારતને વિવિધ દેશો સાથે એવી રીતે જોડવામાં સક્ષમ બનાવે છે કે જે પરસ્પર હિતોનું સન્માન કરે અને સમકાલીન જિયોપોલિટિક્સની જટિલ પ્રકૃતિને સ્વીકારે.
નોંધનીય છે કે આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતના 90 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. 73 વર્ષના લોકપ્રિય નેતા મોદી અને બીજેપીના સમર્થકો એમ કહીને જીતનો દાવો કરી રહ્યા છે કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે અને લાખો લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે.