ગુજરાતનાં એસ.ટી નિગમના ફિક્સ પે કર્મચારીઓનાં પગારમાં 30 ટકાનો વધારો કરાયો

gsrtc

એસ.ટી નિગમના 7 હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી

ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે. એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 7 હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો છે.

ગુજરતના એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરવામા આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે 30 ટકા પગાર વધારાનો લાભ આપવાનો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યનાં 7 હજારથી વધુ એસટી કર્મચારીઓને લાભ થશે. તેમણે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

વધુમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, તે સમયે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ તેમા કરવામાં આવ્યો ન હતો. ત્યારે આજે હવે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે 30 ટકા પગાર વધારાનો લાભ મળતા એસ ટી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.